Aapnu Gujarat
Uncategorized

પ્રધાનમંત્રી મોદીએ પાંચ વર્ષમાં ભારતનું નામ રોશન કર્યું છે

મુખ્યમંત્રી રૂપાણી આજરોજ રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર મોહન કુંડારીયાના નામાંકન માટે યોજાયેલ ભવ્ય રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર મોહન કુંડારીયાના નામાંકન પ્રસંગે ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શો પૂર્વે હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.
ભવ્ય રોડ-શો અને જનસભામાં ભાજપાના મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ અગ્રણીઓ, શહેર/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ, સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ૨૦૧૪ પહેલા યુપીએની સરકાર સોનિયા ગાંધીના ઇશારે ચાલતી હતી, તેથી દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોએ માઝા મુકી હતી જેને કારણે દેશ ઘણો પાછળ રહી ગયો હતો તેથી દુનિયામાં ભારત દેશની ખુબ બદનામી થતી હતી. ત્યારે દેશની જનતાએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મુકી દેશને દુનિયામાં એક ઉંચાઇ આપી છે. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે. દેશને ભ્રષ્ટાચારમુક્ત કર્યો છે અને દેશભક્તિની મિશાલ આપી છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક તરફ રાષ્ટ્રવાદ – દેશભક્તિ છે તો બીજી તરફ વોટબેંકની રાજનીતિ કરનારા જાતિવાદ – જ્ઞાતિવાદ – તૃષ્ટિકરણની રાજનીતિ કરનારા છે. પરિવારવાદની રાજનીતિ કરનારાઓએ સ્વપ્ને પણ એવું નહી વિચાર્યુ હોય કે દેશનો એક સામાન્ય નાગરિક – ચાવાળા દેશના પ્રધાનમંત્રી પદે કેવી રીતે પહોંચી શકે ? પ્રધાનમંત્રી તો રાજપરિવારનો યુવરાજ જ બની શકે તેવી માનસિકતા ધરાવતી કોંગ્રેસ આજે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારી રહી છે. અગાઉ યુપીએના શાસનમાં દેશમાં ઠેર-ઠેર ત્રાસવાદી હુમલાઓ થતા હતા. ત્રાસવાદના મુદ્દે તેમનું વલણ ખૂબ જ નરમ હતું જ્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ત્રાસવાદીઓના સફાયા માટે દ્રઢ નિશ્ચયી છે. મ્યાનમાર, પી.ઓ.કે.માં આતંકવાદી કેમ્પોનો સફાયો કરનાર પ્રધાનમંત્રી મોદીએ હવે અંતરિક્ષક્ષેત્રે દેશને સલામત અને સક્ષમ બનાવ્યો છે. એક તરફ બાંગ્લાદેશી ઘુષણખોરો માટે વોટબેંક ઉભી કરનાર તો બીજી તરફ ભાજપા સરકારે તેમને દેશમાંથી ખદેડી નાખવા પગલાં લીધા છે.
કોંગ્રેસ અને ગઠબંધનને પડકારતાં શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની જનતા જાણવા માંગે છે કે કોંગ્રેસ અને ગઠબંધન કોને પ્રધાનમંત્રી બનાવવા માંગે છે ? હકીકતમાં આ ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન છે. તેઓનો માત્ર એકજ એજન્ડા છે – નરેન્દ્રભાઇ મોદીને હટાવો. પ્રધાનમંત્રી મોદીની સરકાર સ્થિર સરકાર છે અને તેમાં અસ્થિતરતા કેવી રીતે સર્જાય તેવા નિષ્ફળ પ્રયાસો કોંગ્રેસ અને ગઠબંધન કરી રહ્યા છે ત્યારે ભારતને વિશ્વગુરુ અને મહાસત્તા બનાવવા માટે અને આતંકવાદનો સફાયો કરવા માટે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને પુર્ણ બહુમતી સાથે પુનઃસત્તામાં આરૂઢ કરીએ.
મુખ્યમંત્રી રૂપાણીએ સામ પિત્રોડાને શેમ પિત્રોડા અને મણીશંકર ઐયરને પાકિસ્તાનના પીઠ્ઠુઓ જણાવ્યાં હતાં. મોદીને ચોર કહેનારા ચોરો જ સૌથી વધારે શોર મચાવે છે. બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે આતંકવાદીઓને પોષનાર પાકિસ્તાન આજે સમગ્ર દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું છે. આ ચૂંટણીમાં જો મોદી શપથ લેશે તો દેશમાં મહાપર્વ દિવાળી ઉજવાશે અને જો કોંગ્રેસને ફાયદો થશે તો પાકિસ્તાન ઉત્સવ મનાવશે.
સ્વ. અટલજીએ કહેતા હતા કે, ભારત માતાનું શક્તિશાળી નિર્માણ કરવા મારાંઅસ્થિમાંથી પણ એકજ અવાજ આવશે ભારતમાતા કી જય.
૫૫ વર્ષ સુધી કોંગ્રેસે ગરીબો માટે કશું કર્યું ન હતું, કિસાનોને પાણી, ખાતર વગેરે પાયાની જરૂરિયાતો પુરી પાડી શકી નહોતી તેથી ખેડુતો આત્મહત્યા કરતા હતા. બેકારોની ફોજ કોંગ્રેસે જ ઉભી કરેલી છે. ઇન્દિરા ગાંધી પણ ગરીબી હટાવી ન શક્યા, ગરીબ વધુ ગરીબ અને પૈસાદાર વધુ પૈસાદાર બનતો ગયો હતો. ગરીબલક્ષી યોજનાઓ પ્રધાનમંત્રી મોદીએ શું અંબાણી અને અદાણી માટે બનાવી છે ? પ્રધાનમંત્રીએ જનધન યોજના અંતર્ગત ગરીબોના બેંકમાં ખાતા ખોલાવી સીધા પૈસા ખાતામાં જમા થાય તેવું કરતાં વચેટિયાઓને હવે મલાઇ મળતી બંધ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક ગરીબોને ઘર મળ્યા છે, જ્યારે કોંગ્રેસનો પર્યાય જ ભ્રષ્ટાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના નેતૃત્વમાં ચીનની દાદાગીરી સામે ટક્કર લેવા આજે દેશ સક્ષમ બન્યો છે. આજે સમગ્ર દેશની જનતા સ્પષ્ટપણે એવું માને છે કે ‘‘મોદી હૈ તો મુમકીન હૈ’’.
મુખ્યમંત્રી રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપાનો ગઢ છે તેથી કોંગ્રેસની ડિપોઝીટ અહીથી ડુલ થવી જોઇએ. રાજકોટ ભારે બહુમતી સાથે લોકસભાની બેઠક ઉપર કમળ ખીલવશે તો ગુજરાતની ૨૬ બેઠકો ઉપર પણ કમળ જરૂરથી ખીલશે.

Related posts

સોમનાથ ખાતે નાતાલનાં મિનીવેકેશનનો માહોલ : સહેલાણીઓનો ધસારો

aapnugujarat

અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયાઃ પરેશ ધાનાણી

aapnugujarat

जूनागढ़ DYSP को 3 साल की सजा

editor

Leave a Comment

UA-96247877-1