Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિનાં જનક સામ પિત્રોડા

ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.૧૯૮૪માં રાજીવ ગાંધીની સાથે મળીને ભારતને ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રમાં વેગવંતું બનાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના પ્રયત્નોના પરિણામે આજે ભારતનાં મોટાભાગનાં મહાનગરો અને નગરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દૂરસંચારની વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થાય છે. તેઓ નેશનલ નોલેજ કમિશનના સભ્ય છે. આ કમિશન ભારતમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે કાર્ય કરે છે. ગયા મે મહિનામાં પિત્રોડાને ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઈન્ફર્મેશન સોસાયટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ૨૦૦૯માં પદ્મ ભૂષણ એવોર્ડ, એ જ વર્ષે રાજીવ ગાંધી ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધારે સમય નથી વિત્યો જ્યારે ભારતમાં ટેલિફોનનો ઉપયોગ એક પેપરવેઇટની જેમ થતો હતો.ટેલિફોનનું ઉપકરણ એટલું ભારે હતું કે ઘણા લોકો તેને એ ડરથી ઉઠાવતા ન હતા કે તેમને ક્યાંક હર્નીયા ન થઈ જાય.એક મજાક એવી પણ થતી કે ક્યારેક ક્યારેક માતાપિતા પોતાનાં તોફાની બાળકોને નિયંત્રણમાં લાવવા ટેલિફોનનાં ભારે રિસીવરનો ઉપયોગ કરતાં હતાં.કહેવાનો મતલબ એ છે કે ટેલિફોનનો પરસ્પર સંપર્ક સ્થાપિત કરવા માટે ક્યારેક જ ઉપયોગ થતો હતો.’ડેડ ટેલિફોન’ ભારતીય સંસ્કૃતિની એક પ્રખ્યાત કહેવત બની ગયો હતો.પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઘર પણ આ મુશ્કેલીમાંથી છુટી શક્યું ન હતું.ભારતમાં દર ૧૦૦માંથી માત્ર ૦.૪ ટકા લોકો પાસે ટેલિફોન હતા. તેમાંથી ૫૫ ટકા ફોન શહેરી વિસ્તારમાં રહેતા સાત ટકા લોકો પાસે હતા.આ પરિસ્થિતિને બદલવાનો શ્રેય જો કોઈ વ્યક્તિને આપી શકાય છે તો તે છે સામ પિત્રોડા.સામની યાત્રાની શરૂઆત ઓડિશાના બોલાંગીર જિલ્લાનાં એક નાનાં ગામ ટીટલાગઢમાં થઈ હતી. સામના દાદા સુથાર અને લુહારનું કામ કરતા હતા.તે જમાનામાં સામનો સૌથી પ્રિય શોખ હતો પોતાનાં ઘરની સામેથી પસાર થતી રેલવે લાઇન પર દસ પૈસાનો સિક્કો મૂકવો. ટ્રેન પસાર થઈ ગયા બાદ કચડાયેલા સિક્કાને શોધીને જમા કરવા.
સામના પિતા ઇચ્છતા હતા કે તેઓ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા શીખે.તે માટે તેમણે સામને અને તેમના મોટા ભાઈ માણેકને ભણવા માટે પહેલાં ગુજરાતમાં વિદ્યાનગર સ્થિત શારદા મંદિર બોર્ડિંગ સ્કૂલ મોકલ્યા અને પછી તેમને બરોડા યુનિવર્સિટીમાં મોકલ્યા હતા.ત્યાંથી જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ શ્રેણીમાં એમએસસીની પરીક્ષા પાસ કરી. ત્યાં જ તેમની મુલાકાત ભાવિ પત્ની અનુ છાંયા સાથે થઈ.શિક્ષણ મેળવી લીધા બાદ સામે ટેલિવિઝન ટ્યૂનર બનાવતી કંપની ઑક ઇલેક્ટ્રોનિકમાં કામ કરવાનું શરૂ કર્યું.ત્યાં સુધી સામનું નામ સત્યનારાયણ પિત્રોડા હતું. જ્યારે તેમને તેમના પગારનો ચેક મળ્યો તેમાં તેમનું નામ સામ લખાયેલું હતું.જ્યારે તેઓ પગારનું કામકામજ જોતાં મહિલા પાસે તે અંગે ફરિયાદ લઈને ગયા તો તેમણે કહ્યું કે તમારું નામ ખૂબ લાંબુ છે, એ માટે મેં તેને બદલી નાખ્યું.સામે વિચાર્યું કે કોઈ તેમની મરજી વગર કેવી રીતે તેમનું નામ બદલી શકે છે.પરંતુ પછી તેમને વિચાર આવ્યો કે જો તેઓ ચેકમાં નામ બદલવા પર ભાર આપશે, તો તેમાં બે અઠવાડિયા જેટલો સમય લાગી જશે.ત્યારે જ આ નામ તેમણે અપનાવી લીધું અને તેઓ સત્યનારાયણથી સામ બની ગયા.
૧૯૭૪માં તેઓ દુનિયાની સૌથી પહેલી ડિજિટલ કંપનીઓમાંથી એક વિસ્કૉમ સ્વિચિંગમાં કામ કરવા લાગ્યા.૧૯૮૦માં રૉકવેલ ઇન્ટરનેશનલે તેને ખરીદી લીધી. સામ આ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા અને તેમાં તેમની ભાગીદારી પણ થઈ ગઈ.તેમણે તેને વેચી નાખવાનો નિર્ણય કર્યો અને વળતરમાં તેમને ચાલીસ લાખ ડોલર મળ્યા.૧૯૮૦માં તેઓ દિલ્હી આવ્યા. આ પહેલાં તેઓ પંદર વર્ષની ઉંમરે એક કૉલેજ ટૂર પર માત્ર બે દિવસ માટે દિલ્હી આવ્યા હતા.તેઓ તે સમયે દિલ્હીની સર્વશ્રેષ્ઠ તાજ હોટેલમાં રોકાયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે તેમનાં પત્ની અનુને ટેલિફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટેલિફોન લાગ્યો જ નહીં.આગામી દિવસે સવારે જ્યારે તેમણે પોતાની હોટેલની બારીમાંથી જોયું તો નીચે રસ્તા પર ડેડ ફોનની એક સાંકેતિક અંતિમ યાત્રા નીકળી રહી હતી.મૃતદેહની જગ્યાએ તૂટેલા, કામ ન કરતા ફોન રાખવામાં આવ્યા હતા અને લોકો જોર જોરથી સુત્રોચ્ચાર કરી રહ્યા હતા.સામે તે જ સમયે નક્કી કર્યું કે તેઓ ભારતની ટેલિફોન વ્યવસ્થાને ઠીક કરશે.૨૬ એપ્રિલ ૧૯૮૪ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે સી-ડૉટની શરૂઆતની મંજૂરી આપી દીધી.સામને એક રૂપિયા વાર્ષિક પગાર પર સી-ડૉટના પ્રમુખ બનાવવામાં આવ્યા.આ પહેલાં સામે ઇન્દિરા ગાંધી અને તેમનાં મંત્રીમંડળની સામે એક કલાકનું પ્રેઝન્ટેશન આપ્યું.સામ કહે છે, અમે બેંગલુરુમાં હાર્ડવેર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. સૉફ્ટવેર માટે અમને દિલ્હીમાં જગ્યા મળી રહી ન હતી.રાજીવ ગાંધીએ સલાહ આપી કે તમે એશિયાડ વિલેજ જાઓ. જગ્યા તો સારી હતી પણ ત્યાં એરકંડિશનિંગ ન હતું. દિલ્હીની ગરમીમાં એરકંડિશનિંગ ન હોય તો સોફ્ટવેરનું કામ થઈ શકતું નથી. અકબર હોટેલમાં જગ્યા ખાલી હતી. અમે ત્યાં બે ફ્લોર લઈ લીધા.તેઓ જણાવે છે, શરૂઆતમાં ફર્નિચર ન હતું. અમે છ મહિના ખાટલા પર બેસીને કામ કર્યું.અમે ૪૦૦ યુવા એન્જિનિયરની ભરતી કરી. તેમને ટ્રેનિંગ આપવામાં આવી. ખબર પડી કે તેમાં કોઈ છોકરી નથી. પછી તેમાં છોકરીઓને લાવવામાં આવી.
થોડા જ મહિનામાં ભારતની દરેક ગલીમાં પીળા રંગના એસટીડી કે પીસીઓ બૂથ દેખાવાં લાગ્યાં. આ અભિયાનમાં વીસ લાખ લોકોને રોજગારી મળી.ફોન ભારતીય લોકોની સામાજિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું. બૂથ ચલાવતા લોકોએ ત્યાં સિગરેટ, ટૉફિઓ અને દૂધ જેવી વસ્તુઓ પણ વેચવાનું શરૂ કરી દીધું.
ટેલિફોન હવે લક્ઝરી ન રહીને રોજીંદા જીવનની જરૂરી વસ્તુ બની ગયો હતો.આ વચ્ચે સામને ટેલિકોમ આયોગના અધ્યક્ષ બનાવી દેવાયા.તે દરમિયાન પ્રખ્યાત કંપની જનરલ ઇલેક્ટ્રિકના અધ્યક્ષ જૈક વેલ્ચ ભારત આવ્યા. તેઓ રાજીવ ગાંધીને મળવાના હતા પરંતુ તેઓ કોઈ જરૂરી કામમાં વ્યસ્ત હતા.તેમણે સામને તેમને મળવા મોકલ્યા. વેલ્ચે પહેલો સવાલ કર્યો, અમારા માટે તમારી પાસે શું પ્રસ્તાવ છે?સામે કહ્યું, અમે તમને સોફ્ટવેર વેચવા માગીએ છીએ.વેલ્ચ બોલ્યા, પરંતુ અમે તો અહીં સોફ્ટવેર ખરીદવા આવ્યા નથી. અમારો ઉદ્દેશ તો તમને એન્જિન વેચવાનો છે.વેલ્ચે એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યો અને કહ્યું, તમે અમારી પાસેથી શું ઇચ્છો છો?સામનો જવાબ હતો, એક કરોડ ડોલરના સોફ્ટવેરનો ઓર્ડર.વેલ્ચે કહ્યું, હું મારી કંપનીના ૧૧ લોકોને તમારી પાસે મોકલીશ. તમે તેમને મનાવી લો કે તમારા પ્રસ્તાવમાં દમ છે.
એક મહિના બાદ જીઈના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા. સામે તે સમયે નવી નવી બનેલી કંપની ઇન્ફોસિસ સાથે તેમની બેઠક નક્કી કરી. ઇન્ફોસિસે કહ્યું કે તેમની તો કોઈ ઓફિસ પણ નથી.સામે કહ્યું કે તમે જીઈ વાળા લોકોને આ વાત ન કહેતા અને તેમને કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં મળો.એ બેઠક થઈ અને જીઈએ એક કરોડ ડોલરના સોફ્ટવેરનો પહેલો ઓર્ડર આપ્યો અને અહીંથી ભારતના સોફ્ટવેર કંસલ્ટિંગ ઉદ્યોગનો પાયો મૂકાયો.પરંતુ આ વચ્ચે રાજીવ ગાંધી ચૂંટણી હારી ગયા. ૨૧ મે ૧૯૯૧ના રોજ અચાનક રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. ત્યારબાદ સામનું મન ભારતમાં ન લાગ્યું.સામ યાદ કરે છે, આપણે માત્ર એક વડાપ્રધાન નથી ગુમાવ્યા, મેં મારા સૌથી પ્રિય મિત્ર ગુમાવી દીધા છે. આ એક ઇચ્છા અને સપનાંનો અંત હતો. મેં મારી નાગરિકતા પણ બદલી નાખી. હું સમજી શકતો ન હતો કે હવે શું કરું.મારી સામે અંધારું જ અંધારું હતુ અને ત્યારે જ મેં જાણ્યું કે મારી પાસે પૈસા બચ્યા ન હતા. મેં છેલ્લાં ૧૦ વર્ષમાં કોઈ પગાર લીધો ન હતો. મેં વિચાર્યું કે હવે સમય આવી ગયો છે અમેરિકા પરત ફરવાનો.આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગી શકે છે કે સામ પિત્રોડાએ કામ કરવાની ધૂનમાં ૧૯૬૫ બાદ કોઈ ફિલ્મ જોઈ ન હતી.તેમના સારા મિત્ર અને પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી જણાવે છે, સામ પિત્રોડા ન તો શોપિંગ કરવા જતા, ન કોઈના જન્મદિવસની પાર્ટીમાં જતા હતા. તેઓ ક્યારેય ફિલ્મ જોવા પણ જતા ન હતા.એક વખત તેઓ મારા ઘરે રોકાયા હતા. તેમનાં પત્ની અનુ પણ તેમની સાથે હતાં. મેં તેમને કહ્યું, ચાલો ફિલ્મ જોઈએ. સામે કહ્યું ફિલ્મ અને મારી વચ્ચે દૂર દૂર સુધી સંબંધ નથી. પરંતુ હું તેમને જબરદસ્તી થ્રી ઇડિયટ્‌સ ફિલ્મ જોવા લઈ ગયો હતો.જ્યારે અમે ફિલ્મ જોઈને બહાર નીકળ્યા તો અનુએ કહ્યું કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મેં કહ્યું કે ધન્યવાદની શું જરૂર છે. અનુએ કહ્યું ચાલીસ વર્ષીય લગ્નજીવનમાં અમે પહેલી વખત સાથે કોઈ ફિલ્મ જોઈ છે.
સામ પિત્રોડા નાનપણથી તબલાં વગાડે છે, પેઇન્ટિંગ્સ કરે છે અને સંગીત સાંભળે છે. ગઝલ સાંભળવી તેમને ખૂબ ગમે છે.ઇકોનૉમિસ્ટ અને વૉલ સ્ટ્રીટ જર્નલ વાંચવું તેમને ખૂબ પસંદ છે.
વિયેનામાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન પણ થયું છે. સંગીત સાંભળવાનો તેમને ખૂબ શોખ છે ખાસ કરીને વાહન ચલાવતા સમયે.
નાનપણમાં તેમણે પચાસના દાયકામાં જે ફિલ્મો જોઈ હતી તે હતી ’બરસાત’, ’નાગિન’, ’કાગઝ કે ફૂલ’, ’પ્યાસા’ અને જ્યારે પણ આ ફિલ્મોનાં ગીત તેઓ સાંભળે છે, તેઓ પોતે પણ સાથે સાથે ગાવા લાગે છે.

Related posts

આધારની માહિતી સુરક્ષિત કરવા સરકારનાં પ્રયાસ

aapnugujarat

મમતા બેનરજીને પણ કહેવું પડે કે ચોલબે ના

aapnugujarat

વિશ્વમાં ૬ કરોડ મજૂરોની છીનવાઈ રોજીરોટી

editor

Leave a Comment

UA-96247877-1