પોતાની ત્રિમાસિક બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને કહ્યું હતું કે, તેણે ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ અને વનડે વિશ્વકપ-૨૦૨૩ની યજમાની કરવી હોય તો તેને ટેક્સમાં છૂટછાટ આપવી પડશે. જો બીસીસીઆઈ આમ ન કરી શકે તો યજમાની ગુમાવવી પડી શકે છે. આઈસીસીની આ ચેતવણીની બીસીસીઆઈ પર કોઈ અસર થઈ નથી. બીસીસીઆઈએ કહ્યું કે, આઈસીસી ઈચ્છે તો વિશ્વકપ ભારતની બહાર લઈ જઈ શકે છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આઈસીસી ઈચ્છે તો ભારત પાસેથી વિશ્વકપની યજમાની છીનવી શકે છે કારણ કે ટેક્સનો મુદ્દો સરકાર પાસે છે અને તેના માટે સરકારની મંજૂરીની જરૂર હોય છે. આ પ્રકારના બહારના દબાવમાં બોર્ડ કોઈ મદદ ન કરી શકે. અધિકારીએ કહ્યું, જો તે આઈસીસી ટૂર્નામેન્ટ બહાર લઈ જવા ઈચ્છે છે તો કોઈ વાત નથી. પછી બીસીસીઆઈ પોતાનું રેવન્યૂ પણ આઈસીસી પાસેથી પરત લેશે. પછી જોઈએ કે નુકસાન કોને થાય છે. અધિકારીએ કહ્યું, જે લોકો પ્રશાસનમાં છે તે લોકો પોલિસીને કાયદા વગર બનાવવા ઈચ્છે છે. આઈસીસીના આ પ્રકારના નિર્ણયને બીસીસીઆઈ માટે માનવા મુશ્કેલ હશે તેમાંથી ઘણા મુદ્દા બોર્ડની પહોંચમાં હોતા નથી. બીસીસીઆઈના વધુ એક અધિકારીએ જણાવ્યું કે, આઈસીસી દાવો તો તમામને સાથે લઈને ચાલવાનો કરે છે પરંતુ એવું પ્રતીત થાય છે કે તેનો પ્રયત્ન દરેક રીતે ભારતને નુકસાન પહોંચાડવાનો હોય છે. તેણે કહ્યું, પહેલા પણ જોવા મળ્યું કે, આઈસીસીનું પોતાના સભ્યો સાથે અલગ પ્રકારનું વર્તન રહે છે. ઉદાહરણ તરીકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને માત્ર ટેક્ટમાં છૂટ મેળવવા પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે, પરંતુ બીસીસીઆઈને આ વાત નક્કી કરવાનું કહેવામાં આવે કે તે ટેક્સ પર છૂટ મેળવે.તેણે કહ્યું, એવું ન થઈ શકે કે બીસીસીઆઈ તેના પર રાજી થઈ જાય. આઈસીસી એકતરફ તે ન કહી શકે કે તેનો ઈરાદો બધાને સાથે લઈને ચાલવાનો છે તો બીજીતરફ તે ભારતને નુકસાન પહોંચાડવાનો દરેક પ્રયત્ન કરે છે.