અમરોલી રાજદ્રોહના ગુનામાં મળેલા જામીન સુરતની સેશન્સ કોર્ટે રદ કરતાં અલ્પેશ કથિરિયાએ વકીલ મારફત હાઈકોર્ટમાં બચાવ માટે ક્રીમિનલ રિવિઝન અરજી કરી હતી. તે અરજીને રજિસ્ટ્રી શાખા દ્વારા પેન્ડિંગ રખાતાં પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ) દ્વારા સહીં ઝુંબેશ ચલાવવામાં આવનાર છે.
અલ્પેશ કથિરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા બાદ અલ્પેશ વિરુદ્ધ ઉપરા-છાપરી ૫ ગુનો નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યાર બાદ અલ્પેશ કથિરિયાએ વકીલ મારફત હાઈ કોર્ટમાં ૨૧મી જાન્યુઆરીએ ક્રીમિનલ રિવિઝન એપ્લિકેશન કરીને બચાવ માટે અરજી કરીને તેમને સાંભળવામાં આવે તેવી દાદ માંગી હતી. ત્યાર બાદ ૨૩ જાન્યુઆરીના રોજ તે અરજી જસ્ટિસ એસ. એચ. વોરાની કોર્ટમાં મોકલી આપી હતી. ત્યાં હાજર સરકારી વકીલે દલીલ કરી કે, આ એપ્લિકેશન રજિસ્ટ્રીના નિયમ મુજબ ચાલી શકે નહીં. તેથી હાઈકોર્ટ દ્વારા આ એપ્લિકેશનને ફરીથી રજિસ્ટ્રી શાખામાં મોકલીને તેને જે તે કોર્ટની અંદર મોકલી આપવા માટે આદેશ કર્યો હતો. ત્યાર બાદ તે અરજીને રજિસ્ટ્રી શાખા દ્વારા પેન્ડિંગ રાખીને કોઈ મુદ્દત કે તારીખ આપવામાં આવી નથી.