દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવનારા ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા એવા આરોપી અતુલ વૈદ્યને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવાનો મહત્વનો હુકમ કર્યો હતો. ગુલબર્ગ કેસમાં રેગ્યુલર જામીન પર મુકત થવાનો આ સૌથી પહેલો કેસ છે. ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન ગુલબર્ગ હત્યાકાંડના ચકચારભર્યા કેસમાં ટ્રાયલ કોર્ટે વિહિપના નેતા અતુલ વૈદ્યને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જસ્ટિસ અભિલાષાકુમારીએ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અુતલ વૈદ્યને શરતી જામીન આપતાં જણાવ્યું હતું કે, આરોપીની સજા સામેની અપીલ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે અને આરોપીએ ઓલરેડી એક વર્ષથી જેલમાં છે ત્યારે તેની સામેના પુરાવાઓ ધ્યાને લેતાં તેના જામીન મંજૂર કરવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા અતુલ વૈદ્ય તરફથી જામીનઅરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી વિરૂધ્ધ આ કેસમાં પૂરતા પુરાવા નથી અને તેમને ખોટી રીતે કેસમાં સંડોવી દેવાયા છે. વળી, નીચલી કોર્ટે અરજદારને કરેલી સાત વર્ષની સજાના હુકમ સામે તેમણે કરેલી અપીલની સુનાવણી હાઇકોર્ટમાં પડતર છે અને અરજદાર છેલ્લા એક વર્ષથી જેલમાં છે ત્યારે કેસના સંજોગો અને હકીકતો જોતાં અરજદારને જામીનનો લાભ આપવો જોઇએ. ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન મુસ્લિમ વસ્તી ધરાવતી ગુલબર્ગ સોસાયટીમાં ૬૯ લોકોની જઘન્ય હત્યા કરવામાં આવી હતી. આ ચકચારભર્યા કેસમાં આરોપી અતુલ વૈદ્ય સહિત ૨૩ જણાંને ગયા વર્ષે જૂન માસમાં સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ કોર્ટે સજા ફટકારતો હુકમ કર્યો હતો. જેમાં કોર્ટે અતુલ વૈદ્યને સાત વર્ષની સજા ફટકારી હતી. ગુલબર્ગ હત્યાકાંડમાં ભોગ બનેલાઓમાં કોંગ્રેસના પૂર્વ સાંસસ એહસાન જાફરી પણ હતા. તેમની વિધવા ઝાકીયા જાફરીએ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના લોકો સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી. જો કે, સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત સીટ દ્વારા મોદી સહિતના મહાનુભાવોને કલિનચિટ્ આપવામાં આવી હતી.
આગળની પોસ્ટ