અમદાવાદ શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય એ અગાઉ જ રોગચાળો બેકાબૂ બનવા પામતા મ્યુનિસિપલ હેલ્થ વિભાગની ઘોર બેદરકારી છતી થવા પામી છે શહેરમાં આ માસના ૨૪ દિવસની અંદર જ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી પીવાના કારણે ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૧૮૮૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ શહેરમાં ગત વર્ષની સરખામણીમાં કોલેરાના બે ગણા કેસ નોંધાવા પામ્યા છે જેમાં શહેરના જમાલપુરમાં ત્રણ, શાહપુરમાં બે, ગોમતીપુર,રામોલ, હાથીજણ, મકતમપુરા, અમરાઈવાડી અને નવરંગપુરા વોર્ડ એમ મળીને કુલ નવ જેટલા કોલેરાના કેસ નોંધાવા પામતા મ્યુનિસિપલ હેલ્થ અને ઈજનેર વિભાગની ગંભીર બેદરકારી છતી થવા પામી છે.આ સાથે જ શહેરમાં મેલેરીયાના પણ ૭૦૦ ઉપરાંત કેસ નોંધાવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના કોટ વિસ્તાર ઉપરાંત પૂર્વમાં ગોમતીપુર,રખીયાલ દક્ષિણમાં વટવા, રામોલ, બહેરામપુરા, દાણીલીમડા સહીતના અનેક વિસ્તારોમાં લોકોને પાણી અને ગટરની લાઈનો એક થઈ જવાના કારણે પોલ્યુશન વાળુ પાણી પીવુ પડે છે જેના કારણે આ તમામ વિસ્તારોમાં વસતા લોકો વિવિધ પ્રકારના રોગનો ભોગ બની રહ્યા છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ માસની શરૂઆતથી ૨૪ જુન સુધીમાં ઝાડા-ઉલ્ટીના કુલ ૧૮૮૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે ગત વર્ષે જુન માસમાં ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૧૪૮૭ કેસ નોંધાવા પામ્યા હતા જેની તુલનામાં આ વર્ષે ૨૪ જુન સુધીમાં કુલ મળીને ૧૮૮૦ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ શહેરના જમાલપુરમાં ત્રણ, શાહપુરમાં બે, ગોમતીપુર, નવરંગપુરા,રામોલ-હાથીજણ, મકતમપુરા અને અમરાઈવાડી વોર્ડમાં કુલ મળીને કોલેરાના ૧૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ગત વર્ષે જુન માસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના કુલ પાંચ કેસ નોંધાવા પામ્યા હતા.આમ ઝાડા-ઉલ્ટી અને કોલેરા બંનેના કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે.પાણીજન્ય રોગમાં આ સમયગાળામાં કમળાના કુલ ૧૯૧ કેસ નોંધાવા પામ્યા છે જ્યારે ટાઈફોઈડના કુલ ૨૩૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાંથી મેલેરીયાની નાબૂદીના તંત્ર તરફથી ફૂંકવામાં આવી રહેલા બણગાંની વચ્ચે ૨૪ જુન સુધીમાં અમદાવાદ શહેરમાં મેલેરીયાના કુલ ૭૦૪ કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત ડેન્ગ્યુના ૧૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ચીકનગુનીયાના ચાર અને ઝેરી મેલેરીયાનો એક કેસ નોંધાવા પામ્યો છે.શહેરમાં ચોમાસાનો સત્તાવાર આરંભ થશે આ સાથે રોગચાળાની પરિસ્થિતિ હાલ કરતા પણ વધુ બગડશે એમ મ્યુનિસિપલ સૂત્રોનું કહેવું છે બીજી તરફ શહેરમાં બેકાબૂ બનેલી રોગચાળાની સ્થિતિ શાસકો માટે ચિંતાનો વિષય બનવા પામી છે.