Aapnu Gujarat
ગુજરાત

ઘાટલોડિયામાં વૃધ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો : પૈસા માટે જમાઇએ સાસુની હત્યા કરવા સોપારી આપી

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત સપ્તાહમાં રંભાબહેન પટેલ નામની વૃધ્ધાની ગળુ દબાવી હત્યાના પ્રકરણમાં શહેર ક્રાઇમ બ્રાંચે સઘન તપાસ હાથ ધરી આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મૃતક રંભાબહેનના જમાઇ રમેશ પટેલે જ ખુદ તેની સાસુની હત્યા માટે પાંચ લાખ રૂપિયાની સોપારી આપી હતી અને સાસુની મિલકત માટે તેણે તેમની હત્યા કરાવી હતી. આ હત્યાના ગુનામાં જમાઇ જ સાસુનો હત્યાનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો હતો અને તેણે કોન્ટ્રાકટ કિલરને હત્યાની સોપારી આપી હતી. ક્રાઇમબ્રાંચે આરોપી જમાઇ રમેશ પટેલની ધરપકડ કરી કોન્ટ્રાકટ કિલરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ગત તા.૨૧-૧૨-૨૦૧૭ના રોજ બપોરના સમયે ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારીનગર વિભાગ-૨માં એ-૫૩ નંબરના બંગલામાં રહેતા રંભાબહેન પટેલની કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી રહસ્યમય સંજોગોમાં હત્યા કરી નાંખી હતી. બનાવની ગંભીરતા ધ્યાને લઇ ઘાટલોડિયા પોલીસની સાથે ક્રાઇમબ્રાંચ અને એસઓજીના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા. જેમાં પોલીસને ઘરમાંથી એક બોક્સ મળી આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિકના પેપર ડીશ અને કપ હતા. તેથી પોલીસની આશંકા પ્રબળ બની હતી કે, કોઇ શખ્સ કુરીયર બોય બનીને ઘરમાં પ્રવેશ્યો હોવો જોઇએ. એ પછી પોલીસે સોસાયટીના બંગલાના સીસીટીવી ફુટેજ ચેક કરતાં તેમાં એક ૨૫ વર્ષના આશરાનો યુવક હાથમાં ઉપરોકત બોક્સ લઇ જતો નજરે પડે છે. સાથે સાથે મૃતક રંભાબહેનને છ પુત્રીઓ હોઇ પોલીસે તમામની વિગતો એકત્ર કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમની એક પુત્રી ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પાસે આરતી એપાર્ટમેન્ટમાં પોતાના પતિ રમેશ પટેલ સાથે રહેતી હોવાની માહિતી મળી હતી. એટલું જ નહી, મૃતક રંભાબહેનની આ ત્રીજા નંબરની પુત્ર ઉષાબહેનના પતિ રમેશ પટેલને ધંધામાં લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હોવાની હકીકત ક્રાઇમબ્રાંચના ધ્યાન પર આવતાં શંકા વધુ મજબૂત થઇ હતી અને તેથી તેની અટક કરી વિગતો કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રમેશ પટેલ ભાંગી પડયો હતો અને ગુનાની કબૂલાત કરી લીધી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, રમેશ પટેલ અગાઉ રેતીના ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલ હતો અને હાલ એક મેડિકલ સ્ટોર પણ ધરાવે છે પરંતુ ધંધામાં બહુ નુકસાન ગયું હોઇ દેવાની ભરપાઇ કરવાની ફિરાકમાં હતો. સાસુ રંભાબહેન જે મકાનમાં રહેતા હતા, તેની કિંમત રૂ.ત્રણ કરોડ જેટલી થવા જાય છે અને જો તેમના મૃત્યુ બાદ તે વેચાય તો તેની પત્નીના ભાગમાં રૂ.૪૦થી ૫૦ લાખ આવે અને જો એમ થાય તો તેનું દેવું ભરપાઇ થઇ જાય એવા પ્લાન સાથે રમેશ પટેલે સાસુ રંભાબહેનની હત્યાનું કાવતરૂં ઘડયું હતું. આ માટે તેણે પાંચ લાખ રૂપિયાની સોપારી એક કોન્ટ્રાકટ કીલરને આપી હતી અને તેને સમજાવ્યો હતો કે, કયા સમયે રંભાબહેન ઘરમાં એકલા હોય છે, તેથી કોન્ટ્રાકટ કીલર કુરિયર બોય બનીને ગયો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. જો કે, ક્રાઇમબ્રાંચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી આરોપી જમાઇ રમેશ પટેલની ધરપકડ કરી લીધી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિકને સુરત પોલીસે અટકાવી દીધો

aapnugujarat

પેપર લીક કેસમાં વધુ ધરપકડની સંભાવના

aapnugujarat

ભાવનગરમા ફિઝીયોથેરાપી સેન્ટરમાં ખાસ આરોગ્ય શિબિર યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1