ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે જણાવ્યું કે, મોદી સરકારે ગરીબોની ધાર્મિક પૃષ્ઠભૂમિને જોયા વગર તેમના કલ્યાણ માટે કામ કર્યું છે. ભાજપ શાસિત રાજ્યોમાં ક્યાંય પણ કોઈ મોટા કોમી રમખાણ થયા નથી.ભાજપ લઘુમતિ મોરચા સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, તેમની પાર્ટી લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે, પછી ભલે તે ગમે તે ધર્મનો હોય. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, લઘુમતિનાં દેશના સંસાધનો પર પ્રથમ અધિકાર હોવાનો દાવો કરનારા લોકોએ તેમના માટે કોઈ કામ કર્યું નથી. તેમણે ત્રણ તલાક બિલ પસાર કરવાની દિશામાં મોદી સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે આ કાયદો બનાવાયો છે. શાહે જણાવ્યું કે, મુસ્લિમ બાળકીઓનું સ્કૂલ છોડવાની ટકાવારી ૭૨ ટકાથી ઘટીને ૩૨ ટકા પર આવી ગઈ છે. આ અગાઉ અમિત શાહે બુધવારે પક્ષના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે, તેઓ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને એટલી બધી બેઠકો પર વિજયી બનાવો કે વિરોધીઓનાં હૃદય હચમચી જાય.
પાછલી પોસ્ટ