એક તરફ આ વર્ષે મેઘો રિસાયો છે, તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. એવામાં વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.પ્રાપ્ત વિગત પ્રમાણે વંથલી તાલુકાના બંટીયા ગામમાં રહેતા હરસુખ આરદેશ નામના એક ધરતીપુત્રએ અગનપછેડી ઓઢી મોત વ્હાલું કરી લીધું છે. મૃતક ખેડૂતના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હરસુખભાઇ છેલ્લા કેટલાક દિવસોથી પાક નિષ્ફળ જવાને કારણે ટેન્શનમાં હતા, સાથે જ તેમના પર દેવું પણ વધી ગયું હતું.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હરસુખભાઇના ઘરે પહોંચી ગયો હતો અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું કે હરસુખભાઇએ કેરોસીન છાંટી અગ્નીસ્નાન કર્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.