ગુનાખોરોને જાણે કાયદા વ્યવસ્થાનો હવે ડર રહ્યો ના હોય તેમ ખુલ્લેઆમ ગુનાઓ આચરતા ડરતા નથી. અમદાવાદનાં સરખેજમાં આવી જ એક ઘટના બની છે જે જાણીને તમે પણ કહેશો કે લુખ્ખા તત્વોને ખુલો દોર મળી ગયો છે અને ના તો તેમને પોલીસનો ડર છે કે ના તો તેમની સામે કડક કાર્યવાહી થશે તેનો. અમદાવાદનાં સરખેજ-ઉજ્જલા ચોકડી પાસે લુખ્ખા તત્વોએ ખુલેઆમ આતંક ફેલાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ઉજ્જલા ચોકડી પાસે કેટલાક લુખ્ખા તત્વોએ હાથમાં ખુલ્લા હથિયાર લઇને પસાર થઇ રહેલા વાહનચાલકોને લૂંટ્યા હતા. ૨ અજાણ્યા ઇસમોએ હાથમાં ખુલ્લા હથિયાર લઇને ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો પર લૂંટ ચલાવી હતી. વાહનચાલકોનાં માથા પર ગન મુકવામાં આવી હતી અને તેમને ડરાવીને પૈસા તેમજ કિંમતી ચીજો પર લૂંટ ચલાવી હતી.
આ ઘટના બાદ વાહનચાલકે આગળ સનાથલ ચોકડી પાસે પહોંચીને પોલીસની મદદ માંગી હતી. લુખ્ખા તત્વો ત્યાં આવતા પોલીસ તેમને પકડવા ગઇ હતી, પરંતુ તેમણે પોલીસનાં માથા પર પણ ગન મુકી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. તો બીજી તરફ એ પણ પ્રશ્ન છે કે શું અમદાવાદ પોલીસનો ડર લુખ્ખા તત્વોમાંથી દૂર થઇ ગયો છે?