ભરૂચની યુવતીએ આજે અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના હજુ ત્રણ દિવસ પહેલાં જ છૂટાછેડા થયા હતા અન તેના કારણે લાગી આવવાથી તેણીએ આત્મહત્યા કરી હોય તેવું બની શકે તેવી વાત સામે આવી હતી. જો કે, રિવરફ્રન્ટ પોલીસે આ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી આત્મહત્યાનું સાચુ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના બલોટા ગામની યુવતિએ જન્મ દિવસના દિને જ અમદાવાદ શહેરના ખાનપુર વોક વે પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી દઈ મોતને વ્હાલુ કરી દેતા શહેર સહિત યુવતીના પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતી ભરૂચ જિલ્લાના બલોટા ગામની રહેવાસી પારૂલબેન હસમુખભાઈ પટેલ (ઉ.વ. ૨૨) હોવાનું સામે આવ્યું હતુ અને તેણીએ પોતાના જન્મ દિવસે જ નદીમાં મોતની છલાંગ લગાવી દેતા ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ યુવતીના હજુ ત્રણ દિવસ પહેલાં જ એટલે કે, તા.૧૭ જાન્યુઆરીએ છુટાછેડા થયા હોવાનું જાણવા મળ્યું હતું. છુટાછેડાના પગલે યુવતીએ નદીમાં ઝંપલાવી અંતિમ પગલુ ભર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે મૃતક યુવતી પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. હાલ ઘટના અંગે રીવર ફ્રન્ટ પોલીસે યુવતીના પરિવારજનોની પુછપરછ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.