સપા નેતા આઝમ ખાને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્ન આપવા સામે સવાલો ઉઠાવ્યાં છે. આઝમ ખાને કહ્યું કે, તેમાં કોઈ રાજકારણ નથી. પ્રણવ દાએ સંઘનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને એક કાર્યક્રમમાં હેડ ક્વાર્ટર ગયા હતા. આ તેનું જ ઈનામ છે. બીજી બાજુ અસદુદ્દીન ઔવેસીએ પૂછ્યું છે કે, ભારત રત્ન જેટલા લોકોને આપવામાં આવ્યા છે તેમાં કેટલા દલિતો, આદિવાસીઓ, મુસલમાનો, ગરીબો, સામાન્ય વર્ગ અને બ્રાહ્મણો છે ?
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિતાને મરણોપરાંત આ સર્વોચ્ચ નાગરિક સન્માન મળશે.
આઝમ ખાને કહ્યું કે, ડૉ. પ્રણવ મુખરજીને જ્યારે ભારત રત્ન આપવાની જાણ થઈ ત્યારે તેમણે જાતે જ કહ્યું હતું કે, મને નથી ખબર હું તેને લાયક છું કે નહીં. કદાચ તેમને પણ ખબર નથી કે ભાજપ સરકાર તેમને ભારત રત્ન કેમ આપી રહી છે. આઝમ ખાને ભાજપના બંગાળ રાજકારણમાં પ્રવેશ કરવાના પ્રયત્ન વિશે કહ્યું કે, ભાજપ પગ પેસારો ચોક્કસ કરે પરંતુ ધ્યાન રાખે કે નીચે એસિડ ન હોય.