કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના ૨૭ વર્ષીય યુવા ખેડૂતે મેરામણભાઈ લીલાભાઈ સીડાએ પાક નિષ્ફળ જવાના ડરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ૬૦ વીઘા જેટલી જમીનમાં ખેતી તેમણે મગફળીનું વાવેતર કર્યું હતું.
દેવનગરી દ્વારકા જિલ્લાના હાલારમાં ખેડૂતો માટે આ વર્ષ પસાર કરવું એ ખૂબ જ કપરું સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોના માથા પર એક તરફ પરિવારની જવાબદારીનો ભાર અને બીજી તરફ ખેતી જ આવકનું સાધન હોવાના કારણે તણાવમાં આવીને ખેડૂતો આત્મહત્યા તરફ પ્રેરાય છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂત આર્થિક અને માનસિક રીતે તણાવમાં આવી જતો હોય છે. આ વર્ષે દ્વારકા જિલ્લામાં અપૂરતો વરસાદ થવાના કારણે પાક પર માઠી અસર પડી છે. હજી તો ખેડૂતો જામજોધપુરના ખેડૂતની આત્મહત્યાની ઘટનાના આઘાતમાંથી બહાર આવ્યા નહતા ત્યાં તો વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી ઝેરી દવા ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
મેર ખેડૂતના પુત્રએ આર્થિક સંકડામણના ડરથી ઝેરી દવા ગટગટાવી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવાર અને મિત્રો મેરામણભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય એ પહેલા જ તેઓ રસ્તામાં જ મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં હાલ પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી હોવાનું માની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે.