સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ ૨૭ ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.
થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે.
૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું. આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યો હતો.
રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટ્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.
લોકસભામાં ૨૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફકત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં ૧૨ બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવર્સિટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલનો સમાવેશ છે.
આગળની પોસ્ટ