પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી હિટલર સાથે કરી છે. શિંદેએ મોદી પર વિપક્ષના અધિકારોને દબાવવાનો આરોપ લગાવ્યો છે. મોદીની સોલાપુર મુલાકાત દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મારઝૂડ કરવામાં આવ્યા પછી સુશીલ શિંદેએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. કાર્યકર્તાઓ કાર્યક્રમ સ્થળની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા.
સીનિયર કોંગ્રેસ નેતા શિંદેએ કહ્યું, શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એક અધિકાર છે. પરંતુ સોલાપુરમાં મોદી વિરુદ્ધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પોલીસે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે. આ લોકતંત્ર છે કે તાનાશાહી? હિટલર પણ આવું વર્તન તો નહીં કરતો હોય. સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવાના નિર્ણય વિશે શિંદેએ કહ્યું કે, વડાપ્રધાને તેમની તાકાતનો ખોટો ઉપયોગ કર્યો છે અને તેમને જાણી જોઈને રજા પર મોકલ્યા છે.
શિંદેના જણાવ્યા પ્રમાણે, મોદી કેબિનેટની બેઠકમાં પણ તાનાશાહ જેવું વર્તન કરે છે. તેમણે સવાલ કર્યો કે શું મોદીજીએ નોટબંધી અથવા સીબીઆઈ ડિરેક્ટરને રજા પર મોકલવાનો નિર્ણય લેતા પહેલાં કોઈની સલાહ લીધી હતી? તેમના મંત્રીઓને દુષ્કાળ, સવર્ણને અનામત અને જનતા સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ વિશે લોકો સાથે વાત કરતા પણ શરમ આવે છે.