મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાડવાના ભાજપ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે ત્યારે તેની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્યપ્રદેશના નેતા કૈલાશ વિજવર્ગીયે એવુ નિવેદન આપ્યુ છે જેનાથી વિવાદ ઉભો થઈ ગયો છે.
વિજયવર્ગીયે કહ્યુ છે કે કમલનાથ સરકાર ભાજપની મહેરબાનીથી ચાલી રહી છે અને જે દિવસે ભાજપના હાઈકમાન્ડને છીંક પણ આવી ગઈ તે દિવસે મધ્યપ્રદેશમાં ભાજપ ફરી સત્તા પર હશે.
ભાજપના એક કાયક્રમમાં ઉપરોક્ત વાત કરતા તેમણે ઉમેર્યુ હતુ કે આ સરકાર તો આપણી મહેરબાનીથી ચાલી રહી .જે દિવસે ઉપરથી બોસે ઈશારો કર્યો તો પછી….
તેમણે કાર્યકરોને કહ્યુ હતુ કે કોંગ્રેસે ફેલાવેલા ભ્રમના કારણે થોડા વોટ આમ તેમ થઈ જવાથી નિરાશ થવાની જરુર નથી.મધ્યપ્રદેશમાં તો ક્યારે પણ આપણી સરકાર બની શકે છે.૧૫ વર્ષથી સત્તા ભાજપની હોવાથી આપણે ગાળો આપવાની ભૂલી ગયા હતા.કારણકે સત્તા પર હોવાથી કામ થઈ જતા હતા પણ હવે સવારે સાડા પાંચ વાગ્યે ઉઠીને જે અધિકારીઓ કામ નહી કરે તેને ગાળો આપીશું.
કોંગ્રેસે આ નિવેદન બાદ કહ્યુ હતુ કે વિજયવર્ગીયના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ભાજપ દ્વારા કમલનાથ સરકાર પાડી દેવાની કોશિશ થઈ રહી છે.