Aapnu Gujarat
બ્લોગ

૮૪નાં શીખ વિરોધી રમખાણો કોંગ્રેસને હચમચાવતા જ રહેશે….

૧૯૮૪ની ૩૧ ઓક્ટોબરે તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.એ પછી દેશભરમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યા હતા.છેલ્લાં ૩૩ વર્ષથી દર વર્ષે શીખ વિરોધી રમખાણ વિશે ચર્ચા અને તેનું પોસ્ટમોર્ટમ થતું રહે છે.એ વાદવિવાદનો અંત હજુ સુધી આવ્યો નથી.રમખાણનો ભોગ બનેલા લોકોની પીડાનું નિવારણ પણ થયું નથી.વચ્ચેના સમયગાળામાં સંસદમાં એક્શન ટેકન રિપોટ્‌ર્સ રજૂ કરવામાં આવ્યા હતા.શીખ વિરોધી રમખાણો પરત્વેના જોરદાર રોષની સત્તાધિશોને કલ્પના ન હતી.એ રોષને પરિણામે સંસદસભ્યો જગદીશ ટાયટલર અને સજ્જન કુમારનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતાં.જેન્ટલમેન વડાપ્રધાને શીખ સમુદાય અને રાષ્ટ્રની માફી માગી હતી. જગદીશ ટાયટલર અને સજ્જન કુમારની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.ખળભળાટ યથાવત્‌ હોવાને કારણે શીખ વિરોધી રમખાણોનો મુદ્દો વારંવાર ચર્ચાતો રહે છે.અખબારો તેની તરફેણ અને વિરોધમાં રોજ લેખો પ્રકાશિત કરતાં રહે છે.રાહુલ ગાંધીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ જે હુલ્લડ થયાં હતાં તેમાં કોંગ્રેસે કોઈ ભૂમિકા ભજવી ન હતી. કોંગ્રેસના પ્રમુખના આ ભોળપણ પર તેમના પોતાના પક્ષના લોકો પણ વિશ્વાસ કરી શક્યા નથી.પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે શિરોમણિ અકાલી દળના હુમલામાંથી પોતાના પક્ષને બચાવવાને બદલે વિધાનસભામાં ચાર કોંગ્રેસી નેતાઓનાં નામ લઈને જણાવ્યું હતું કે એ લોકો હુલ્લડ ભડકાવવામાં મોખરે હતા.૧૯૮૪ના શીખવિરોધી હુલ્લડોમાં રાહુલ ગાંધીએ જેવો ખુલાસો કર્યો છે તેને સાચો માની લઈએ તો હિંસાની કોઈ પણ મોટી ઘટનામાં કોઈએ કોઈ ભૂમિકા જ નહીં ભજવી હોય.લોકોને જીવતા સળગાવવાનો આદેશ કોઈ પક્ષ તેના કાર્યકરોને પોતાના લેટરહેડ પર લખીને આપે?
કોંગ્રેસે કોઈ ભૂમિકા ભજવી ન હતી તો તેણે માફી શા માટે માગી હતી?કેટલાક લોકો એવું પણ માને છે કે મનમોહન સિંહને વડા પ્રધાન બનાવવાનો હેતુ શીખોને મનાવી લેવાનો હતો.
રાહુલના નિવેદને કર્યાકારવ્યા પર પાણી ફેરવી નાખ્યું છે.
હુલ્લડ થયાં ત્યારે રાહુલ ગાંધી ૧૪ વર્ષના હતા અને તેમને તેમના પિતા રાજીવની એ વાત યાદ હશે, જેમાં તેમણે હુલ્લડ વિશે કહ્યું હતું, “જ્યારે કોઈ મોટું વૃક્ષ તૂટી પડે ત્યારે ધરતી થોડી કંપતી હોય છે.”
આ વાત યાદ ન હોય તો તેઓ તેનો વીડિયો નિહાળી શકે છે.
રાજીવ ગાંધીનું ધરતી કંપવાનું અને નરેન્દ્ર મોદીનું ક્રિયા-પ્રતિક્રિયાનું નિવેદન એકસમાન છે.ગુજરાતનાં હુલ્લડ વખતે ગોધરામાં ટ્રેનમાં થયેલાં કારસેવકોનાં મૃત્યુને સહજ પ્રતિક્રિયા સાબિત કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીએ અને ભાજપે સંગઠીત રીતે કર્યો હતો.અટલ બિહારી વાજયેપીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે રાજધર્મના પાલનનો અર્થ સત્તામાં બેઠેલી વ્યક્તિ લોકો સાથે જ્ઞાતિ, ધર્મ કે ક્ષેત્રને આધારે કોઈ ભેદભાવ ન રાખે તેવો થાય.રાજીવ ગાંધી કે નરેન્દ્ર મોદી બન્નેમાંથી કોઈએ સમયસર હિંસા રોકવાના પ્રયાસ કર્યા ન હતા કે હિંસા કરનારાઓની ઝાટકણી કાઢી હતી.ક્રિયા-પ્રતિક્રિયાની થીયરીને સ્વીકારી લેવામાં આવે તો બધું ન્યાયોચિત સાબિત કરી શકાય છે.ભિંદરાવાલેની ક્રિયાની પ્રતિક્રિયા હતું ઇંદિરા ગાંધીનું ઑપરેશન બ્લૂ સ્ટાર. તેનાથી નારાજ થયેલા શીખોની પ્રતિક્રિયા હતી ઇંદિરા ગાંધીની હત્યા.હત્યાની પ્રતિક્રિયામાં ભીષણ હુલ્લડ થયાં હતાં. એ હુલ્લડમાં માર્યા ગયેલા લોકોની પ્રતિક્રિયા બાબતે વિચારો. વિચારો કે આ કેટલી ખતરનાક થીયરી છે.ગુજરાતના મુસલમાનો અને ભારતભરના સિખોએ હુલ્લડ જેવી જઘન્ય ક્રિયા બાબતે કોઈ પ્રતિક્રિયા કરી ન હતી. તેને એક ખરાબ સપનું ગણાવીને ભૂલાવી દીધી હતી.તેને કારણે જ દેશ ચાલી રહ્યો છે. અન્યથા ક્રિયા-પ્રતિક્રિયાવાળાઓનું ચાલે તો હિંસા-પ્રતિહિંસા ચાલતી જ રહે અને બન્ને પક્ષ કહેતા રહે કે તેમની પ્રતિક્રિયા વાજબી છે.રાહુલ ગાંધીએ કોંગ્રેસને ૧૯૮૪ના હુલ્લડના કલંકમાંથી જે રીતે મુક્ત કરી છે એ રીતે તો કટોકટીના કલંકને ધોઈ નાખવું જોઈએ.એવું કહેવું જોઈએ કે ઇંદિરા ગાંધીએ દેશહિતમાં કટોકટી લાદી હતી તથા કોઈની સાથે કશું ખરાબ કર્યું ન હતું.કોઈની સાથે કશું ખરાબ થયું હતું તો પણ એ માટે તેમનાં દાદી જવાબદાર ન હતાં.રાહુલે કદાચ એ વિચારવું જોઈતું હતું કે તેમના નિવેદનથી હુલ્લડપીડિતોના દિલ પર શું વીતશે?હુલ્લડમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા જ ન હતી એવું તેમનું નિવેદન જાણે કે એવું છે કે લોકો ગુસ્સે થયેલા હતા અને તેમણે બીજા લોકોની હત્યા કરી તો એમાં મોટી વાત શું છે?રાજીવ ગાંધીએ કહ્યું હતું,ઇંદિરાજીની હત્યા પછી દેશમાં હુલ્લડ થયાં હતાં. ભારતની જનતા કેટલી ગુસ્સે થઈ હતી એ અમે જાણીએ છીએ.રાજીવનાં માતાની હત્યા થઈ હતી એ તેમનું અંગત નુકસાન હતું, પણ એ પછી જે નિર્દોષ શીખોની હત્યા થઈ અને જેમની મિલકત લૂંટી લેવામાં આવી તેમના માટે સહાનુભૂતિનો એકેય શબ્દ સાંભળવા મળ્યો ન હતો. દુર્જનો કે ભગતોની ટીકા પણ સાંભળવા મળી ન હતી.હવે લંડન જઈને રાહુલ ગાંધીએ કહ્યું,એ પીડાદાયક હતું, બહુ દુઃખદ હિંસા હતી. તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે તેમાં તેમના પક્ષનો હાથ ન હતો.શીખવિરોધી હુલ્લડોમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા ન હતી તો ઇંદિરા ગાંધીની હત્યા રાષ્ટ્રીય યાતના હતી. એ પછી જે થયું તેનાથી અમારું મસ્તક શરમથી નમી ગયું હતું, એવું તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે ૨૦૦૫ની ૧૧ ઑગસ્ટે સંસદમાં શા માટે કહ્યું હતું?
ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું, મને શીખ બિરાદરીની માફી માગવામાં કોઈ સંકોચ નથી. ૧૯૮૪ની ઘટના માટે હું માત્ર શીખોની નહીં, સમગ્ર દેશની માફી માગું છું.રાહુલ ગાંધી માટે આ તક વંશવાદનું રાજકારણ રમતા લોકોને ચૂપ કરાવવાની હતી.તેઓ કહી શક્યા હોત કે ભૂલ થઈ હતી. કોંગ્રેસના બધા નહીં, કેટલાક લોકો હુલ્લડ ભડકાવવામાં સામેલ હતા.એ ઐતિહાસિક ભૂલમાંથી અમે પાઠ ભણ્યા છીએ અને ભવિષ્યમાં એવું કંઈ નહીં થાય.જોકે, તેમનાં દાદી અને પિતાના કોંગ્રેસ પક્ષને દોષમુક્ત કરીને તેઓ વંશવાદના રાજકારણના આક્ષેપને ફગાવી શકે નહીં.નરેન્દ્ર મોદી પર નફરતના રાજકારણનો આક્ષેપ કરતા અને ખુદને પ્રેમનું રાજકારણ રમતા નેતા કહેતા રાહુલે હુલ્લડ પીડિત શીખો તથા કરોડો ન્યાયપ્રિય લોકોનો પ્રેમ પામવાની એક તકને પણ ખોઈ નાખી.
જેઓ બહુમતીના વર્ચસ્વનું રાજકારણ રમી રહ્યા છે, પીડિત પણ છે અને દબંગ પણ છે, તેમની પાસેથી માફી કે ભૂલના સ્વીકારની આશા ન રાખવી જોઈએ. તેમનું રાજકારણ આવું કરવા બંધાયેલું નથી.
રાહુલ ગાંધી ખુદને નરેન્દ્ર મોદી સામે પ્રેમ તથા શાંતિના દૂત તરીકે પ્રસ્તુત કરવા ઇચ્છતા હોય તો તેઓ એવું કરવાની એક વધુ તક ચૂકી ગયા છે.કોઈની તકલીફને સ્વીકારવાનો ઇનકાર કરવો કે જેને કારણે તકલીફ થઈ છે તેને નિર્દોષ છોડી મૂકવા એ પણ એક પ્રકારનો ગુનો છે.
જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓનો મોટાપાયે સંહાર કરવામાં આવ્યો હતો.એ ભયાનક ઐતિહાસિક યાતના બાબતે યુરોપના મોટાભાગના દેશોમાં ચર્ચાની પણ શક્યતા નથી.શીખવિરોધી હુલ્લડો અને યહૂદીઓના સંહારની સરખામણીનો ખાસ કોઈ અર્થ નથી પણ તેને કોઈ સમુદાયની પીડાના સંદર્ભમાં સમજવાં જોઈએ.યહૂદીઓ સાથે બળજબરી થઈ ન હતી કે નાઝીઓએ તેમની મોટા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે હત્યા કરી ન હતી એવું કહેવું યુરોપના ૧૫થી વધુ દેશોમાં ગુનો ગણાય છે.તેને ’હોલોકોસ્ટ ડિનાયલ’ એટલે કે જનસંહારનો ઇનકાર કહેવામાં આવે છે.એ કાયદો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના સિદ્ધાંત વિરુદ્ધનો છે, એવું કહેતા લોકો ઓછા નથી પણ યુરોપના દેશો માને છે કે જનસંહારની પીડાને નકારવી એ પણ એક પ્રકારે નફરત ફેલાવવા જેવું છે.રાહુલ ગાંધીએ તેમના જવાબ વિશે કદાચ વધારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈતું હતું.૧૯૮૪માં થયેલાં શીખવિરોધી રમખાણો દરમિયાન દિલ્હી પોલીસ ચૂપચાપ બધું જોતી રહી હતી. શીખો સામે ષડ્યંત્ર મુજબ હુમલા થતા રહ્યા હતા. સીબીઆઈએ શીખવિરોધી રમખાણોમાં કોંગ્રેસના નેતા સજજનકુમારને સાંકળતા કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ કહ્યું હતું. સીબીઆઈ આ અંગે બીજી એપ્રિલે પુરાવા રજુ કરશે. સજજનકુમાર પર રમખાણો દરમિયાન શીખો સામે લોકોને ભડકાવવાનો આરોપ હતા.૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખ્યા બાદ દિલ્હીમાં શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. કેસમાં કોંગ્રેસના નેતા સજજનકુમાર પર લોકોનાં ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે. ૨૦૦૫માં જસ્ટિસ નાણાવટી કમિશને સજજનકુમાર સામે કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી. પીડિતોની મદદ કરનારાઓ સામે કાર્યવાહી કરી ચીમાએ કહ્યું કે જે લોકો પીડિત શીખ લોકોની મદદ કરી રહ્યા હતા તેમની સામે પોલીસ કાર્યવાહી કરતી રહી હતી. દોષિતો સામે કોઈ જ કાર્યવાહી પોલીસે કરી ન હતી. પીડિતોને મદદ કરવાની વાત તો બહુ દૂર રહી ગઈ હતી.પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહનું માનવું છે કે ૧૯૮૪ ના શિખ રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા ન હતી અમુક નેતાઓ સામેલ હતા શિખ રમખાણો ત્યારે થયા જયારે ઇંદિરાજીની હત્યા થઇ. આ વખતે રાજીવ ગાંધી બંગાળના એરપોર્ટ ઉપર હતા તેમણે કહ્યું કે મે સજજનકુમાર, ધર્મદાસ શાષાી અર્જુનદાસ વિગેરેના નામ લીધા હતા.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : સબળ વિરોધ પક્ષ માટે રિપબ્લિકન પક્ષની પરિકલ્પના

aapnugujarat

कश्मीर : ट्रंप की मध्यस्थता ?

aapnugujarat

ચેન્નાઈનું વિકટ જળસંકટ : વરસાદી પાણીના સંગ્રહ અંગે નિરસ સ્થિતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1