ગીર-સોમનાથ માં વન મહોત્સવની તા. ૨૯ જુલાઇ નાં રોજ સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં ઉજવણી થશે. આ ઉજવણીમાં જિલ્લાને હરીયાળો બનાવવાં ૧૦ લાખ રોપાનું વિતરણ અને ઉછેરનું આયોજન કરાયું છે. લોકો-સંસ્થાઓ-શાળાઓ-ગ્રામ પંચાયતોને વિતરણ કરવામાં આવનાર આ રોપા ખાતાકીય નર્સરીઓ સાથે ખેડૂત નર્સરીઓમાં તૈયાર કરવામાં આવે છે. સુત્રાપાડા તાલુકામાં સુંદરપરા ગામે ૧૯૭૨ થી વન વિભાગ દ્વારા ખાતાકીય નર્સરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સુંદરપરાની હરીયાળી નર્સરીમાં ચાલુ વર્ષે વિવિધ જાતના કુલ ૧.૭૦ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. ચાર થી છ માસ કે તેનાથી વધુ સમય માવજત કરી આ રોપા પ્લાસ્ટીકની થેલીઓમાં તૈયાર કરી લોકોને આપવામાં આવે છે. તેમ રેન્જ ફોરેસ્ટ ઓફીસર નિલેષ વેગડાએ જણાવ્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લામાં નાયબ વન સંરક્ષકશ્રી જી.એ.સોઢાનાં માર્ગદર્શન તળે છ ખાતાકીય નર્સરીઓમાં વિવિધ જાતનાં રોપા ઉછેરવામાં આવ્યા છે. ઉછેરવામાં આવેલ રોપાઓમાં ગુલમહોર, જમરૂખ, બદામ, નીલગીરી, કાશીદ, લીમડો, વડલો, પીપર, દેશી આંબલી, રેઇન ટ્રી,પેલ્ટાફોરમ, પેન્ડુલા, શરૂ, ગરમાળો, સપ્તર્ણી સહિતનાં રોપાનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે લોકો પણ વૃક્ષ ઉછેરમાં સહયોગી બને તે આજના સમયની માંગ અને જરૂરીયાત પણ છે.
રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ