ગુજરાતને પાણીદાર અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ દ્વારા દુષ્કાળને ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવદિનથી એક મહિનાનું સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ આજે શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ અવસરે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં જળ સંચય હેઠળ થયેલ કામગીરીની ઝાંખી કરાવતા પ્રદર્શનને ખુલ્લુ મુક્યુ હતું. વાઘાણી નર્મદા જળ કળશ પૂજન-અર્ચનમાં સહભાગી થયેલા વિવિધ જ્ઞાતિ સમુદાયના ૧૦૮ દંપતિઓની સાથે નર્મદા જળનું પૂજન અર્ચન કરી મા નર્મદાની આરતી ઉતારી હતી. નર્મદાના પવિત્ર જળને પ્રતિક રૂપે તળાવમાં સિંચન કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ફોફળિયાના વિવિધ ૩૦ જેટલી જ્ઞાતિઓના દંપતિઓએ નર્મદા જળ કળશનું પૂજન કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું. શ્રી વાઘાણીના હસ્તે જળ અભિયાનમાં સહયોગ આપનાર દ્ગર્ય્ં-ઉદ્યોગગૃહો તથા દાતાઓનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ગુજરાતની ભાવિ પેઢીને સમૃધ્ધ જળ વૈભવ વારસો આપવા સુજલામ સુફલામ જળ અભિયાનને સમગ્ર રાજ્યમાં વ્યાપક જનસમર્થન મળ્યુ છે. ગુજરાતની જનતાએ આ અભિયાનને પોતીકુ અભિયાન ગણી ઉપાડી લઇ જનશક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો છે. વાઘાણીએ જણાવ્યુ કે આજે જળ સંચય અભિયાનનું સમાપન નહી પરંતુ જળક્રાંતિની નવી શરૂઆત થઇ છે. જળ અભિયાન હેઠળ હાથ ધરાયેલા કામો આગામી તા. ૮મી જુન સુધી ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વાઘાણીએ જણાવ્યુ કે જળ સંચય અભિયાન દરમિયાન રાજ્યમાં ૧૩૦૦૦ જેટલા તળાવો ઉંડા કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવમાં આવ્યુ છે. જેને પરિણામે આગામી ચોમાસામાં રાજ્યમાં ૧૧ હજાર લાખ ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાત પાણીદાર બનવા સાથે હરિયાળું બનશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદરેલો જળક્રાંતિ માટેનો આ સેવાયજ્ઞ આગામી ત્રણ વર્ષ સુધી ચાલશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન સમગ્ર દેશનું “સૌથી મોટુ જળ અભિયાન બન્યુ છે તેમ જણાવતાં વાઘાણીએ આ અભિયાનમાં સહયોગ આપનાર દ્ગર્ય્ં, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહ તથા દાતાઓને અભિનંદન આપ્યા હતા. આફતને અવરસરમાં પલટાવવાની ગુજરાતની જનશક્તિની તાકાતને પરિણામે જળ અભિયાન ગુજરાત માટે આગામી સમયમાં સંજીવની બની રહેવાનું તેવી લાગણી વ્યક્ત કરતાં શ્રી વાઘાણીએ ઉમેર્યુ હતુ કે દરિયાના ખારા પાણીને મીઠુ કરવા માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે એટલુ જ નહી ભરૂચ જિલ્લામાં ભાડભૂત પાસે રૂ. ૪૦૦૦ કરોડના ખર્ચે ભાડભૂત યોજના સાકાર થતાં આ વિસ્તારમાં દરિયાની ખારાશને અટકાવી શકાશે.
રાજ્ય સરકાર નિષ્ઠા પ્રમાણિકતા સાથે જનતા જનાર્દનની સેવામાં સેવારત છે. પરંતુ વિરોધીઓ આનો વિરોધ કરી રહ્યા છે જે તેમની નકારાત્મક માનસિકતા છતી કરે છે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યુ હતું.
વિરોધીઓ સમાજમાં વર્ગ વિગ્રહ પેદા કરી એકબીજાને લડાવવાની વાતો કરે છે, જ્યારે ભાજપા સમાજના તમામ વર્ગોને સાથે લઇ “સૌનો સાથ સૌનો વિકાસ” મંત્ર સાથે આગળ વધી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વાઘાણીએ મોટા ફોફાળિયા ગામના તળાવને “”પ્રિત સરોવર” નામાભિધાન કરવા સુચન કર્યુ હતું.
કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યુ કે વડોદરા જિલ્લામાં જળ અભિયાન હેઠળ ૩૮૭ કામોના આયોજન સામે ૪૦૮ કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સો ટકા લોકભાગીદારીથી ૧૭૫ ગામ તળાવો ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં ૫૬૧ મીલીયન લીટર પાણીનો વધારો થશે.
સોખડા મંદિરના આનંદ સાગર સ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવ્યુ કે ગામે ગામ જન શક્તિએ આદરેલા પુરૂષાર્થના પરિણામે આગામી ચોમાસામાં વરસાદી પાણી વરસતા તળાવો છલકાશે.