ઉના કાંડના પીડિત પરિવારના સભ્યો ઘટનાસ્થળ પર ભગવાન બુદ્ધનુ મંદિરનુ નિર્માણ કરાવશે. અત્રે નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પરિવારના ૪૫ સભ્યોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લેતા આની ચર્ચા સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. હવે ઘટનાસ્થળ પર ભગવાન બુદ્ધનુ મંદિર બનાવવા માટે અભિયાન ચલાવવા માટેની વાત કરી છે. હકીકતમાં બે વર્ષ પહેલા ઉનામાં ગૌરક્ષકોના હાથે દલિતોને માર મારવાની ઘટના સપાટી પર આવી હતી. ત્યારબાદ પીડિતોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના બાદ દલિત સમુદાય હજુ પણ નારાજ છે. ધર્મ પરિવર્તન કરી લીધા બાદ દલિત પરિવારના સભ્યોએ કહ્યુ હતુ કે હિન્દુ ધર્મમાં તેમને પુરતુ સન્માન મળ્યુ ન હતુ. હાલમાં ઉના કાંડના પીડિત દલિત પરિવારે પોતાના પરિવારના સભ્યોની સાથે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો.
ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. બંધારણમાં આપવામાં આવેલા અધિકાર હેઠળ ધર્મ બદલવાની પરંપરા હાથ ધરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૬માં ચાર દલિત પીડિતોને નિર્દયરીતે માર મારવામાં આવ્યા હતા. ચાર દલિત પીડિતો વસરામ, રમેશ, અશોક અને બેચર નામના યુવકોને અર્ધનગ્ન કરીને તેમને માર મારવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં દલિત આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે દોઢ વર્ષ પહેલા ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારોને ગૌરક્ષકોએ બેરહેમીથી જાહેરમાં ઢોર માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. હાલમાં ઉનાના પીડિત પરિવાર સહિત ૩૦૦ જેટલા લોકોએ વિધિવત્ રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ