ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ ખરીફ સીઝનમાં મગફળી પાકમાં લીલી ઈયળ(હેલીયોથીસ)નો ઉપદ્રવ જોવા મળે તો તે અંગે પગલાં લેવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.
આ ઈયળ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓવાળી હોય છે. પાક પ્રમાણે ઈયળનો રંગ જુદો જુદો જોવા મળે છે. ચોમાસુ અને ઉનાળુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવનું પ્રમાણ વધતું જાય છે. મગફળીના પાકમાં આ જીવાતની ઈયળો કુમળા પાન અને નાની ડુંખો ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાય જવાથી છોડ ઝાંખરા જેવો દેખાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે તેથી નવી કુંપણો ફુટતી નથી. ચોમાસુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ સપ્ટેમ્બર માસમાં અને ઉનાળુ મગફળીમાં એપ્રિલ માસના અંતમાં શરૂ થાય છે અને પાકની કાપણી સુધી રહે છે.
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ ઉપદ્રવ અટકાવવા અંગે કેટલાંક નિયંત્રણના પગલા સુચવવામાં આવ્યા છે. જે અન્વયે પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફુદી પીળા ફૂલ તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા મુકે છે. નર ફુદાને આકર્ષવા ૧૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટર ગોઠવવા, પુખ્ત પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રી દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષયેલા પુખ્તને ભેગા કરી નાશ કરવો, લીમડાનું તેલ ૪૦ મિ.લિ. અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ( ૫ % અર્ક ) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉભા પાકમાં લીલી ઇયળનુ એનપીવી ૨૫૦ એલઇ પ્રતિ હેક્ટરે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી છંટકાવ કરવો, બેસીલસ થુરીજીએન્સીસ નામનો જીવાણુયુકત પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો, પક્ષીના ટેકા હેક્ટર દીઠ ૫૦ ની સંખ્યામાં મુકવા તેમજ કાર્બારીલ ૦.૨ % ૪૦ ગ્રામ એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી નો છંટકાવ કરવો