ગત ચોમાસામાં ઓછા વરસાદ અને ત્યારબાદના સમયગાળામાં શુષ્ક હવામાનના કારણે દેશના ઘણા ભાગોમાં જળસંકટ ઘેરૂ બની રહ્યું છે. દેશના હવામાન વિભાગના ડેટાના આંકલન મુજબ દેશમાં ૧૫૩ જિલ્લામાં પાણીની તિવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઉનાળાના દિવસોમાં આ વિસ્તારોમાં પાણીનું સંકટ વઘુ ઘેરૂ બની શકે છે.ગત વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ પડવાના કારણે આગામી અમુક મહિનામાં દેશના ઘણા હિસ્સામાં જળ સંકટ ઘેરૂ બની શકે છે. હજુ તો ગરમીની શરૂઆત થઇ છે. અને આવનારા દિવસોમાં દેશમાં ભયંકર ગરમી પડવાની શક્યતા છે. ત્યારે ઓક્ટોબર, ૨૦૧૭થી માર્ચ, ૨૦૧૮ સુધીના હવામાન વિભાગના આંકડા જોઇએ તો દેશમાં કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં આકરી ગરમીના કારણે ઉત્પન્ન અછતની સ્થિતિની ભયાનકતા અત્યારથી નજરે પડી રહી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ ઓક્ટોબર, ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ સુધી વરસાદની સ્થિતિ સંતોષજનક નથી. સ્થિતિ એ છે કે ૪૦૪ જિલ્લામાં અછતની સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગ મુજબ ૪૦૪ જિલ્લામાંથી ૧૪૦ જિલ્લામાં ઓક્ટોબર,૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ના સમયગાળામાં જળસંકટ વધુ ઘેરૂ બન્યું છે. જ્યારે કે ૨૬૫ જિલ્લામાં અછતની સ્થિતિ જણાવાઇ છે. આઇએમડી ડેટા પરથી દેશના ૫૮૮ જિલ્લાની સમિક્ષા કરવામાં આવી છે. જેમાં જાણકારી મળી છે કે ૧૫૩ જિલ્લા એકદમ શુષ્ક શ્રેણીમાં છે. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં વરસાદ જ નથી વરસ્યો.
ચિંતાજનક વાત તો એ છે કે આઇએમડીના સ્ટાન્ડર્ડ પ્રીસિપીટેશન ઇન્ડેક્સમાં જૂન,૨૦૧૭ એટલે કે ચોમાસાના મહિનાથી ૩૬૮ જિલ્લામાં અછતની હળવીથી ગંભીર સ્થિતિ દર્શાવાઇ છે.સ્ટાન્ડર્ડ પ્રીસિપીટેશન ઇન્ડેક્સ દ્વારા હવામાન વિભાગ દેશમાં જળ સંકટની સ્થિતિનું આંકલન કરે છે.