જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મકાંડ આચરાયા બાદ મહિલા સંગઠનોથી માંડીને વિરોધી પાર્ટીઓનો દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
કેટલાંક દિવસ પહેલા રાહુલ ગાંધીએ આ મામલે કેન્ડલ યાત્રા યોજી હતી. તો બોલીવુડ જગતના અને રમત જગતના માંધાતાઓએ પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી આ મામલાને વખોડ્યો હતો. સાથે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી લાગણી દર્શાવી હતી.
દેશમાં સામૂહિક બળાત્કારના વધી રહેલા બનાવનો વિરોધ કરવા માટે અલગ-અલગ ક્ષેત્રના માંધાતાઓ તો આગળ આવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં નાની બાળકીઓ સાથે થઇ રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે મોદી સરકારની આકરી નિંદા કરી છે.
તેમણે પોતાના ટિ્વટર એકાઉન્ટ પર ટિ્વટ કરી કહ્યું, “૨૦૧૬માં ૧૯,૬૭૫ સગીર બાળકોની સાથે દુષ્કર્મના કેસ નોંધાવવા શરમજનક બાબત છે. તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે જો વડાપ્રધાન પીડિતાઓને ન્યાય અપાવવા માટે ગંભીર હોય તો તેમણે આવા કેસોનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ અને દોષિતોને કડક સજા અપાવવી જોઈએ.”
કોંગ્રેસી નેતા કમલનાથે કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ કેસ સંદર્ભે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીત કરતાં કહ્યું, “મેં કોઈ જગ્યાએ વાંચ્યુ હતું કે ભાજપના ૨૦ નેતા એવા છે, જેના નામ બળાત્કાર જેવા કેસો સાથે જોડાયેલા છે. હવે આ પાર્ટીનું નામ ભારતીય જનતા પાર્ટી હોવુ જોઈએ કે બળાત્કાર જનતા પાર્ટી હોવું જોઈએ, તે હવે જનતાએ વિચારવાનું છે.”