સોમનાથ મહાદેવનાં સુવર્ણયુગની ભારતવાસીઓની કલ્પના સાકાર થવાનાં પગરણ આગળ અને આગળ ધપી રહ્યાં છે. ભારતની અસ્મિતાનાં પ્રતીક સમા સોમનાથ મહાદેવનો સુવર્ણયુગ ફરી વખત આવે એ દરેકનું સ્વપ્ન હોય છે અને એ જ દિશામાં પવિત્ર ભાવના – શ્રદ્ધા સાથે દાતાઓનો સહયોગ અને સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી – સચિવ પ્રવિણભાઈ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સંપૂર્ણ મંદિર સોનાનું થઈ જાય તેવા ક્રમશઃ તબક્કાવાર હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે.
સોમનાથ મહાદેવ મંદિરનાં ગર્ભગૃહ એટલે કે જ્યાં સાક્ષાત ભોલેનાથ બિરાજમાન છે તે સંપૂર્ણ ગૃહને સોનેથી જડી દેવામાં આવ્યું છે. મંદિરનાં શિખર ઉપરની ટોપ તથા ધ્વજ દંડ તેનાં ઉપરનાં ત્રિશુલ – ડમરૂ – ભગવાન નિવાસ મંદિરનાં સ્થંભો સંપૂર્ણપણે સોનાથી ઝળહળી રહ્યાં છે અને હાલ મંદિરમાંના સ્થંભો મઢવા કામગીરીનો પ્રારંભ થશે જેનાં ભાગરૂપે દિલ્હીમાં સોનાનાં કારીગરો સ્થંભનું પૂરેપૂરું માપ લઈ તેનાં પુંઠાના મોડલમાં તેને ઢાળી દિલ્હી લઈ ગયેલ અને સ્થંભમાં જડવા માટે ૩૦ કિલો સોનાનાં બનેલ ફર્મા અને સોનાની સામગ્રી કામ પૂર્ણ થતાં સોમનાથ ટ્રસ્ટ સિક્યોરિટી તથા પ્રભાસપાટણ પોલીસનાં જવાનો દિલ્હી આ સોનું લેવા ખાસ પહોંચ્યાં હતાં અને જડબેસલાક સુરક્ષા વચ્ચે સોનું સોમનાથ લાવ્યાં હતાં.
શિવભક્ત અને વેરાવળ તથા ગીર-સોમનાથ-જુનાગઢ-દીવ સુવર્ણ એસો.નાં પ્રમુખ અરવિંદભાઈએ આશરે આ સોનાની કિંમત ૯ કરોડથી વધુ હોવાનું જણાવ્યું છે.
સોનું સોમનાથ પહોંચ્યાં પછી હવે થોડાં દિવસોમાં જ કારીગરો મંદિરનાં સ્થંભોને સોનાથી જડવાનું શરૂ કરશે. મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ગર્ભ ગૃહ – સભા મંડપઅને નૃત્ય મંડપ. આ તમામને જેમ જેમ દાતાઓનો સહયોગ મળતો જશે તેમ સોનાથી અલંકૃત કરવામાં આવશે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (સોમનાથ)