જોરાવરનગરમાં લોકોએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. તેનું કારણ રેલવે સત્તાવાળા સામે રોષ હોવાનું જાણવા મળ્યું છે. વાત એમ છે કે જોરાવરનગરમાંથી પસાર થતી ભાવનગર બ્રાન્દ્રા ટ્રેનને પહેલા જોરાવરનગરમાં સ્ટોપેજ ફાળવવામાં આવ્યું હતું.
મુંબઈ જવા માંગવા પ્રવાસીઓ માટે સુરેન્દ્રનગરથી આ એક ડાયરેક્ટ ટ્રેન હતી. તેનાથી લોકોને સુગમતા રહેતી હતી પણ છેલ્લા આઠ મહિનાથી આ ટ્રેનનું સ્ટોપેજ બંધ કરી દેવાતા શહેરીજનોમાં રોષ ફાટી નિકળ્યો છે.
સુરેન્દ્રનગર – જોરાવરનગરના રહીશોનું કહેવું છે કે સુરેન્દ્રનગર- વઢવાણ નગરપાલિકા બરો ધરાવતું આ એક મોટું શહેર છે. અહીંથી મુંબઈ જનારાની સંખ્યા સવિશેષ હોય છે. આમછતાં વર્ષોથી એક સોરાષ્ટ્ર મેઈલ અને સૌરાષ્ટ્ર જનતા એમ બે જ ટ્રેન સુરેન્દ્રનગરથી મળે છે. આવામાં ભાવનગર બાન્દ્રા ટ્રેન શરૂ થતાં મળેલું સ્ટોપેજ લોકો માટે આશીર્વાદ સમાન હતું. જે હવે છેલ્લા ૮ મહિનાથી બંધ કરી દેવાતા લોકોને વાયા અમદાવાદ મુંબઈ જવું પડતું હોય હાલાકી ભોગવવી પડે છે. આ અંગે સત્તાવાળાઓ સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે. આમછતાં તેમના બહેરા કાને તે અથડાઈને ગુલ થઈ જાય છે. આના વિરોધમાં સુરેન્દ્રનગર-જોરાવરનગરના લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. આગામી દિવસોમાં જો સ્ટોપેજ આપવામાં નહિં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે, તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.