Aapnu Gujarat
Uncategorized

માધવપુર મેળો : શ્રદ્ધાળુઓ ઉમટ્યા : આજે છેલ્લો દિન

પોરબંદર જિલ્લાના પ્રસિદ્ધ માધવપુરના મેળામાં ઉપસ્થિત રહેવા આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ તથા કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓનું ગાંધી જન્મભૂમિ પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ખુબ જ અદકેરુ ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ અવસરે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલી, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ ડો. બીડી મિશ્રા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી એન બીરેનસિંઘ, કેન્દ્રીય સાંસ્કૃતિકમંત્રી મહેશ શર્મા, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરેન રિજ્જુ, ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, અંજલિબેન રૂપાણી સહિતના મહાનુભાવોનું જિલ્લાના પદાધિકારીઓ તથા ુચ્ચ અધિકારીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના સ્વાગતમાં ગુરાતના ચીફ સેક્રેટરી જેએન સિંઘ, માજીમંત્રી બાબુભાઈ બોખિરિયા, જિલ્લા કલેક્ટર અશોક કાલરિયા, જિલ્લા વિકાસ અધિકારી સીપી નેમા, પોલીસ અધિક્ષક શોભા ભુતડા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં સ્થિત માધવપુર ઘેડમાં ચાલી રહેલા પાંચ દિવસીય ભવ્ય મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે ૨૮મીએ આ મેળાની પૂર્ણાહૂતિ થનાર છે. મેળાને પ્રથમ વખત ભવ્ય રુપ આપવાનું કામ કરવામાં આવ્યું હતુ. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સાંસ્કૃતિક મંત્રાલયના માનવ સંગ્રહાલય, ગુજરાત, આસામ, અરુણાચલ અને મણિપુરની સરકારે આ મેળાને નવા સ્વરુપ આપવાના પ્રયાસ કર્યા હતા. મણિપુરની પણ ખાસ ટીમો પહોંચી હતી. નટ શૈલીમાં રુકમણિ સાથે સંબંધિત ગીતો મુખ્ય આકર્ષણ છે. અરુણાચલ પ્રદેશ અને મણિપુરના કલાકારો રુકમણિ-કૃષ્ણ ઉપર આધારિત નૃત્ય નાટિકા રજૂ કરીને ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. અરુણાચલના લોકનૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આસામના કલાકારો પણ ખાસ રીતે પહોંચ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, માધવપુર મેળાના સંબંધ અરુણાચલ પ્રદેશના મિશમી આદિવાસ સમુદાય સાથે રહેલા છે. આ આદિવાસી સમુદાયના પૂર્વજો રાજા ભીષ્મક, તેમની પુત્રી રુકમણિ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયા હતા. ઉત્તર-પૂર્વથી ૧૫૦ કલાકારોની ટીમ પહોંચી ચુકી છે. મળેલી માહિતી મુજબ કલાકારોનું સ્વાગત રુકમણિના પરિવારોના પ્રતિનિધિ તરીકે કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય તરફથી અહીં એક સ્થાનિક સ્થળો અને મંદિરોને વિકસિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. દર વર્ષે રામનવમીથી લઇને પાંચ દિવસ સુધી અહીં સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાના ભાગરુપે રંગબેરંગી રથ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રથ ઉપર મુકવામાં આવે અને ગામમાં રથને ફેરવવામાં આવે છે. જાણકાર લોકો કહે છે કે, આ સ્થળ પુષ્ટિમાર્ગ વૈષ્ણવ હિન્દુ સંપ્રદાયના સ્થાપક વલભાચાર્યની બેઠક માટે પણ ઓળખવામાં આવે છે. ૨૮મી માર્ચના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થનાર છે. મેળાની શરૂઆત થયા બાદથી પરંપરા મુજબ જ મહિલાઓ દ્વારા લગ્નના ગીતો ગાવવાની શરૂઆત થઇ છે. રુકમણિને અહીંથી લગ્ન બાદ ભવ્યરીતે વિદાય અપાશે.

Related posts

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી

aapnugujarat

ઉપલેટા મોજ ઈરીગેશનના પાણી સોસાયટીઓ અને કારખાનામાં ઘુસ્યા

editor

ધોરાજીમાં તહેવારોને લઈને એકસ્ટ્રા બસ શરૂ કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1