અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આજે તીવ્ર ગરમી વચ્ચે ગેસ સિલિન્ડરમાં આગ બાદ આગ ફાટી નિકળતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. શાહપુરમાં ફાયર સ્ટેશન નજીકની ચાલીમાં આગ ફાટી નિકળી હતી જેના કારણે ફાયરના જવાનોને ચાલી હોવાના લીધે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, આમા મોટુ નુકસાન ટળી ગયું હતું પરંતુ બપોરના ગાળામાં ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. એકબાજુ મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે અને રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જે રસ્તો હાલ ચાલુ રાખવામાં આવ્યો છે તે રસ્તા પર જ શાહપુર ફાયર સ્ટેશનની પાસેની ચાલીમાં આ આગ ફાટી નિકળી હતી. ખુબ જ સંકુચિત વિસ્તાર હોવાના લીધે સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં આ રસ્તાને બંધ રાખવાની ફરજ પડી હતી જેથી વાહન ચાલકો જોરદારરીતે અટવાયા હતા અને લોકોને કલાકો સુધી અટવાઈ જવાની ફરજ પડી હતી. જો કે, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવતા મોડેથી શાહપુરથી કાળુપુર તરફ જતા રસ્તાને ફરી ખોલી દેવામાં આવ્યો હતો અને ધીમે ધીમે ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બની હતી. શાહપુર વિસ્તારમાં લાગેલી આગની ઘટનાની ચર્ચા લોકોમાં જોવા મળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર સ્ટેશન પાસેથી તરત જ કાફલો પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. ચાલી હોવાના લીધે આસપાસના લોકો મોટી સંખ્યામાં જમા થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડના જવાનોને મદદ પણ કરી હતી. જો કે આ બનાવ શાહપુરમાં ફાયર સ્ટેશન પાસે જ બન્યો હોવાથી મોટુ નુકસાન ટળી ગયું હતું અને તરત જ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ થઇ ગયા હતા. દરમિયાન અમદાવાદ શહેરના મીઠાખળી અન્ડરબ્રિજ પાસે આજે બપોરે ૩.૧૮ વાગ્યાની આસપાસ એક ઇન્ડિકા કારમાં પણ આગ ફાટી નિકળી હતી. જો કે, એ વેળા ગાડીની અંદર રહેલા બે લોકો ધુમાડા વેળા જ બહાર નિકળી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો. અન્ય એક ઘટના પણ બની હતી જેમાં બીઆરટીએસની વિશેષ બસમાં સ્ટેન્ડ ઉપર જ આગ ફાટી નિકળી હતી. બસમાં કોઇ યાત્રી નહીં હોવાના કારણે આમા પણ જાનહાની ટળી ગઈ હતી.