ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી આ વર્ષે નહી યોજવા અંગે હુકમ કર્યો છે. જેને પગલે હવે આ વર્ષે યુનિવર્સિટીની સેનેટ અને વેલ્ફેર બોર્ડની ચૂંટણી યોજી શકાશે નહી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સેનેટની ચૂંટણી અને વેલ્ફેર બોર્ડની ચૂંટણી માટે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સની સત્તા મુજબ ચૂંટણી યોજવી આ વર્ષે શકય નથી. હાઇકોર્ટના આ હુકમને પગલે શિક્ષણ જગતમાં ખાસ કરીને યુનિવર્સિટી વર્તુળમાં ભારે ચર્ચા ચાલી છે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી સ્થગિત રાખવા મામલે થયેલી રિટમાં હાઇકોર્ટે સંવેદનશીલ એવા અનામત નીતિના મુદ્દાને લઇ રાજય સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો, તો સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને ઓર્ડિનન્સમાં જરૂરી સુધારો કરવા બાબતે ગંભીર ટકોર પણ કરી હતી. આ કેસમાં હાઇકોર્ટે બે બિનહરીફ ઉમેદવારોને પણ સેનેટ તરીકે આ વર્ષે અમાન્ય ઠેરવ્યા હતા. હાઇકોર્ટે હવે આવતા વર્ષે સેનેટ અને વેલ્ફેર બોર્ડની વહેલી ચૂંટણી યોજવા હુકમ કર્યો હતો. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પ્રવર્તમાન ઓર્ડિનન્સમાં જરૂરી સુધારો અને ફેરફાર કરવા પણ હાઇકોર્ટે મહત્વનું સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં અનામત નીતિના અમલ સહિતના વિવિધ મુદ્દાઓને લઇ એક મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ હતી. જેમાં સેનેટની ચૂંટણીની મતદાર યાદીમાં બોગસ મતદારોને સામેલ કરાયા હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયા હતા. આ વર્ષે સેનેટની ચૂંટણી રદ કરવાના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના નિર્ણયને પણ અરજીમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારપક્ષ તરફથી રજૂઆત કરાઇ હતી કે, સેનેટની ચૂંટણી રદ કરવાની સત્તા વાઇસ ચાન્સેલરને નથી. વળી છેલ્લા ત્રણ વર્ષથી સેનેટની ચૂંટણી યોજાઇ નથી કે, તેમાં અનામતનો અમલ પણ થતો નથી. યુજીસીની ગાઇડલાઇન મુજબ, અનામતનો અમલ કરવો જરૂરી છે. યુનિવર્સિટી તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો કે, સેનેટની ચૂંટણી મામલે વીસીને નિર્ણય લેવાની પૂરી સત્તા છે. હાલમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે અને હાલ ચૂંટણી યોજી શકાય તેવું કોઇ વાતાવરણ પણ નથી. વળી, જયાં સુધી અનામત નીતિની વાત છે, તે અંગે યુનિવર્સિટી તરફથી અનામતનો મુસદ્દો રાજય સરકાર સમક્ષ મોકલાયો છે, તેથી તે મામલે સરકાર તેની રીતે નિર્ણય લે ત્યારબાદ જ આગળની કાર્યવાહી શકય બની શકે. દરમ્યાન વિદ્યાર્થી પાંખ તરફથી એવી માંગ કરાઇ હતી કે, ચૂંટણી એ વિદ્યાર્થીઓનો હક્ક અને અધિકાર છે, તેથી કોઇપણ સંજોગોમાં ચૂંટણી યોજાય તે ન્યાયોચિત છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો.
આગળની પોસ્ટ