મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમાન યુવાશક્તિને આધુનિક સમયાનુકુલ શિક્ષણના આયુધથી સજ્જ કરી રાષ્ટ્ર ઘડતર-રાષ્ટ્રનિર્માણમાં જોડવા એજ્યુકેશન એક્ષ્પોને સક્ષમ માધ્યમ ગણાવ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્ષ્પો-૨૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેવે સમયે યુવાશક્તિને યોગ્ય દિશાદર્શન-માર્ગદર્શન મળે તો યુવાશક્તિ ભવિષ્યના પડકારોને તકમાં પલટાવવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કારકીર્દી ઘડતરના ઉંબરે ડગ માંડતા વિદ્યાર્થીઓ-યુવાઓને આવા એજ્યુકેશન એક્ષ્પો દ્વારા વિશ્વકક્ષાના અભ્યાસક્રમો, કેરિયર ઓરિએન્ડેડ એજ્યુકેશન વગેરેની માહિતી-જ્ઞાન ઘેર બેઠાં મળી રહે છે. વિજય રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતનો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી સ્પર્ધા કરી શકે તેવો સામર્થ્યવાન બનાવવા, ભારત નિર્માણમાં તેનું યોગદાન પ્રેરિત કરવા મરિન યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી જેવી વિશ્વકક્ષાની ૫૭ યુનિવર્સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી રાજ્યમાં સાકાર થઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુવાનોના નવિનત્તમ વિચારોને ઓપ આપવા સ્ટાર્ટઅપ મિશન, આઈ-ક્રિયેટ સહિતની સંસ્થાઓ પણ સરકારે શરૂ કરી છે. ગુજરાતની યુવાશક્તિ પોતાની સાહસિકતાને આના સથવારે આગળ ધપાવે તેવી નેમ છે. યુવાનોને જોબ સીકર નહિ જોબ ગીવર બનાવવા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ ધોરણ-૧૨ પછી કારકીર્દી ધડતરની અહેમિયત ઓળખીને આવા એજ્યુકેશન એક્ષ્પો યોજાઈ રહ્યા છે તેને અભિનંદનીય ગણાવ્યા હતા.