પોરબંદર જિલ્લામાં સ્થિત માધવપુર ઘેડમાં આજે પાંચ દિવસીય ભવ્ય મેળાની શરૂઆત થઇ ગઇ હતી. આ મેળાનું આયોજન કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી કરવામાં આવ્યું છે. આજે ભવ્ય મેળાની શરૂઆત થયા બાદ ૨૮મી માર્ચ સુધી આ મેળો ચાલનાર છે. પ્રથમ વખત ભવ્ય રુપ આપવાનું કામ કરવામાં આવ્યું છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સાંસ્કૃતિક મંત્રાલયના માનવ સંગ્રહાલય, ગુજરાત, આસામ, અરુણાચલ અને મણિપુરની સરકારે આ મેળાને નવા સ્વરુપ આપવાના પ્રયાસ કર્યા છે. મણિપુરની પણ ખાસ ટીમો પહોંચી છે. નટ શૈલીમાં રુકમણિ સાથે સંબંધિત ગીતો મુખ્ય આકર્ષણ છે. અરુણાચલ પ્રદેશ અને મણિપુરના કલાકારો રુકમણિ-કૃષ્ણ ઉપર આધારિત નૃત્ય નાટિકા રજૂ કરીને ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. અરુણાચલના લોકનૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આસામના કલાકારો પણ ખાસ રીતે પહોંચ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, માધવપુર મેળાના સંબંધ અરુણાચલ પ્રદેશના મિશમી આદિવાસ સમુદાય સાથે રહેલા છે. આ આદિવાસી સમુદાયના પૂર્વજો રાજા ભીષ્મક, તેમની પુત્રી રુકમણિ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયા હતા. ઉત્તર-પૂર્વથી ૧૫૦ કલાકારોની ટીમ પહોંચી ચુકી છે. મળેલી માહિતી મુજબ કલાકારોનું સ્વાગત રુકમણિના પરિવારોના પ્રતિનિધિ તરીકે કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય તરફથી અહીં એક સ્થાનિક સ્થળો અને મંદિરોને વિકસિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. દર વર્ષે રામનવમીથી લઇને પાંચ દિવસ સુધી અહીં સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાના ભાગરુપે રંગબેરંગી રથ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રથ ઉપર મુકવામાં આવે અને ગામમાં રથને ફેરવવામાં આવે છે. જાણકાર લોકો કહે છે કે, આ સ્થળ પુષ્ટિમાર્ગ વૈષ્ણવ હિન્દુ સંપ્રદાયના સ્થાપક વલભાચાર્યની બેઠક માટે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેળામાં ભાગ લેનાર હતા પરંતુ તેમનો કાર્યક્રમ છેલ્લીઘડીએ રદ કરવામાં આવ્યો છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન કિરણ રિજ્જુ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ૨૮મી માર્ચના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થનાર છે. મેળાની શરૂઆત થયા બાદથી પરંપરા મુજબ જ મહિલાઓ દ્વારા લગ્નના ગીતો ગાવવાની શરૂઆત થઇ છે. રુકમણિને અહીંથી લગ્ન બાદ ભવ્યરીતે વિદાય અપાશે.