સરકાર દ્વારા અનેકયોજના દ્વારાલોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોની ખરા અર્થમાં જરૂરીયાતપૂર્ણ થાય તે દિશામાં કામો થઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની લોકોની જરૂરીયાત મહદઅંશે પાણી છે. તેમનો જીવનનિર્વાહ ખેતી પર આધારીત છે. આ ખેતીની જાળવણી માટે સિંચાઇના પાણી મળી રહે તો જગતનો તાત જમીનમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા ગામડે ગામડે પીવાના અને સિંચાઇના પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં કામો થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થાય તે માટે ઉંડ-૧ જળાશયથી પીપરટોડા પમ્પીંગ સ્ટેશનનું ખાતમુર્હુત પીપરટોડા ખાતે તેમજ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ ખડ ખંભાળીયા ખાતે કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચિમનભાઇ શાપરીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
સૌની યોજના પીપરટોડા પમ્પીંગ સ્ટેશનના ખાતમુર્હુત પ્રસંગે મંત્રીશ્રી ચિમનભાઇ શાપરીયાએ જણાવ્યુ હતુ કે, ઉંડ-૧ પીપરટોડા પમ્પીંગ સ્ટેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦૦.૧૫ કરોડ જેટલો ખર્ચ કરી ૩૬.૬૦ કી.મી. ૧૦ ફુટ વ્યાસની પાઇપલાઇન દ્વારા કુલ ૯ જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવશે. કંકાવટી, હડીયાણાબંધારા, ખીરી ટી.આર., રૂપારેલ, સપડા, વિજરખી, રણજીતસાગર, વાગડીયા અને રંગમતી જેવા જળાશયોમાં અવિરત પાણી આ યોજના દ્વારા મળવાથી જામનગર જિલ્લાના ૧૬૫૪૩ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્ર્ઢ થશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, નર્મદા યોજનાના વિલંબને કારણે ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મોટો અન્યાય થયો છે. નર્મદા પર બંધ બાંધી ગુજરાતને હરીયાળુ બનાવવાનુ સ્વપ્ન સરદાર વલ્લભભાઇ પટેલનું હતુ. આ સ્વપ્નને સાકાર કર્યુ છે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ. પાણીની સાથે સાથે લોકોની જરૂરીયાત વિજળીની છે અને આ વિજળી પણ તંદુરસ્ત હોય તો ખેડુત સિંચાઇની કામગીરી ખડ ખંભાળીયા ૬૬ કે.વી.ના લોકાર્પણ પ્રસંગે ચિમનભાઇ શાપરીયાએ જણાવ્યુ હતુ કે, સૌની યોજનાથી લોકોને પાણી મળી ચુક્યુ છે અને અમુક વિસ્તારના કામો ઝડપથી થઇ રહ્યા છે ત્યારે સિંચાઇ માટે પાણીની સાથે ખેડુતોને વિજળીની પણ આવશ્યક્તા છે, ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા નવા સબ સ્ટેશનો બનાવી અવિરત અને તંદુરસ્ત વિજપુરવઠો મળી રહે તે દિશામાં ખૂબજ ગતીથી કામો થઇ રહ્યા છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અનેક લોકઉપયોગી નિર્ણયો લેવામાં આવ્યા છે. ચાલુ વર્ષ સારા વરસાદને કારણે મગફળીનું ખૂબજ મોટા પાયે ઉત્પાદન થશે ત્યારે ખેડુતોને મગફળીના પોષણયુક્ત ભાવો મળી રહે તે માટે લાભપાંચમથી સરકાર દ્વારા રૂ.૯૦૦ના મણે ટેકાથી ખરિદવા માટેનો ખેડુત હિત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, પાણીના અભાવે અગાઉના વર્ષોમાં દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડુતો એ રાહતકામે જવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી, નર્મદાનું પાણી ઓવરફ્લો થઇ દરીયામાં વહી જતુ હતુ, ત્યારે સૌરાષ્ટ્રનો ખેડુત પાણી માટે વલખા મારતો હોય, ત્યાં નર્મદા યોજના સાકાર થવામાં ખૂબજ વિલંબ થયો અને તેના કારણે સૌરાષ્ટ્રની જનતાને ખૂબ મોટો અન્યાય થયો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. રાજ્ય સરકારની સૌની યોજનાથી દુષ્કાળને દેશવટો મળ્યો છે. પાણી મળવાની સાથે લોકોને અવિરત વિજળી મળી રહે તે પણ એટલુ જ જરૂરી છે તેમ જણાવતા ચંદ્રેશભાઇ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, પહેલા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૨ કલાક જ વિજળી ઉપલબ્ધ થતી હતી, જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબજ તકલીફોનો સામનો કરવો પડતો હતો, આજે ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં શહેરની માફક અવિરત વિજ પુરવઠો મળી રહ્યો છે, આ માટે ૬૬ કે.વી. સબ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે. લોકોને પ્રાથમિક સુવિધા પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તે દિશામાં કામો થઇ રહ્યા છે. આ સરકાર ગામડાના વિકાસ અને ખેડુતોના ઉત્કર્ષની સરકાર છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અને લાલપુર સરપંચશ્રી સમીરભાઇ ભેસદડીયા, ગોવુભા, અરશીભાઇ, લાખાભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ ગજેરા, વનીતાબેન, કરણસિંહ, ખડખંભાળીયા સરપંચશ્રી હસુભાઇ, નાથાભાઇ,PGVCLના ઇજનેરશ્રી ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જેટકોના વાસજળીયાએ અને વિસ્તૃત માહિતી કે.જે.ગાંધીએ આપી હતી.