ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આવ્યા બાદથી ઉત્તર પ્રદેશ પોલીસે અનેક એન્કાઉન્ટરોને અંજામ આપ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી એન્કાઉન્ટરોને લઇને અહેવાલ આવી રહ્યા ન હતા. હવે ફરી એકવાર એન્કાઉન્ટરના અહેવાલ આવ્યા છે. શનિવાર અને રવિવારના દિવસે ઉત્તર પ્રદેશ પોલીસે અનેક એન્કાઉન્ટરોને પાર પાડીને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ચકચાર જગાવી દીધી છે. કાયદો અને વ્યવસ્થાને યોગ્યરીતે બનાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. અસામાજિક તત્વોમાં દહેશત એવી ફેલાઈ ગઈ છે કે, આ લોકો જાહેરમાં ભરવાના બદલે જેલમાં પોતાને વધારે સુરક્ષિત ગણી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશ પોલીસે પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં સાત એન્કાઉન્ટર કર્યા છે. ગૌત્તમબુદ્ધનગરમાં ત્રણ એન્કાઉન્ટર કર્યા છે. નોઇડા ફેઝ-૩માં એક, દાદલીમાં એક અને દંનકોરમાં એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ગાઝિયાબાદમાં બે એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. સહારનપુર અને મુઝફ્ફરનગરમાં પણ આવા એન્કાઉન્ટરો કરવામાં આવ્યા છે. નોઇડાના ફેઝ-૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણમાં જે કુખ્યાત શખ્સ શ્રવણ ચૌધરી ઠાર કરાયો છે તેના ઉપર એક લાખ રૂપિયાનું ઇનામ હતું. આ અથડામણમાં માર્યા ગયેલા શખ્સની પાસેથી એકે ૪૭ રાયફલ અને અન્ય હથિયારો મળી આવ્યા છે. તેની સામે દિલ્હી અને એનસીઆરમાં અનેક હત્યાના કેસો હતા. આજે સવારે આ અથડામણમાં બચી ગયેલા એડીજી પ્રશાંત કુમારે કહ્યું હતું કે, આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના બુલેટપ્રુફ જેકેટમાં પણ ગોળી વાગી હતી. શ્રવણ ચૌધરી ગાઝિયાબાદનો નિવાસી હતો. અન્યત્ર એન્કાઉન્ટરમાં જે કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે તે પણ હત્યા અને અન્ય કેેસોમાં સીધીરીતે સામે રહ્યા છે. ઠાર શખ્સો પાસેથી પિસ્તોલ, કારતુસ અને રોકડ રકમ મળી આવી છે.