આતંકવાદીઓને નાણા ઉપલબ્ધ કરાવવાના મામલામાં ઉત્તરપ્રદેશ એટીએસે પાટનગર લખનૌ સહિત રાજ્યના અનેક જિલ્લાોમાં દરોડા પાડીને ૧૦ કુખ્યાત શખ્સોની ધરપકડ કરી લીધી છે. લશ્કરે તોઇબાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટેરર ફંડિંગનું નેટવર્ક ચાલી રહ્યું હતું. તમામના સંબંધ પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબા સાથે હોવાના અહેવાલ મળ્યા છે. આ બેંક ખાતાઓમાંથી ૧૦ કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી. આ નાણા નેપાળ, પાકિસ્તાન અને કતારના રસ્તે મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી આ સમગ્ર પ્રક્રિયા નિયંત્રિત કરી રહ્યા હતા. એટીએસના આઈજી અસીમ અરુણે કહ્યું છે કે, પૈસાના સપ્લાયના ગેરકાયદે નેટવર્ક અંગે માહિતી મળી છે. આમા પાકિસ્તાનમાં રહેલા લોકો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના બે લોકોના સંપર્કમાં હતા. તેમને બોગસ પત્રના આધાર પર બેંક ખાતા ખોલવા માટે કહેવામાં આવ્યું હતું. આ સંબંધમાં ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજુ ચાલી રહી છે. એટીએસે કહ્યું છે કે, લશ્કરે તોઇબાના વ્યક્તિ દ્વારા તેમને પાકિસ્તાનથી વારંવાર ફોન કરીને માહિતી આપવામાં આવી રહી હતી કે, કયા ખાતામાં કેટલા રૂપિયા મોકલવાના છે. બેંક ખાતા ખોલવા માટે કેટલાક કમિશનની વાત પણ થઇ હતી. આ લોકોની પાસે મોટી માત્રામાં એટીએમ કાર્ડ, બનાવટી સીમ, પાસબુક, લેપટોપ અને ૪૨ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુપ્ત માહિતીના આધાર પર એટીએસની ટુકડીએ લખનૌ, ગોરખપુર અને પ્રતાપગઢમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં હજુ સુધી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ કાર્યવાહી હજુ જારી રહી શકે છે. ઝડપાયેલા તમામની ઓળખ કરી લેવામાં આવી છે.