કહેવાય છે કે જ્યાં લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. સુરતમાં કંઇક આવી જ ઘટના બની છે કે જ્યાં સિક્યોર લાઇફ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા ઉંચા વળતરની લાલચ આપી ૫ હજાર જેટલા લોકો પાસેથી ૧૦ કરોડ રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. કંપનીના સંચાલકો ફરાર થઇ જતાં રૂપિયા ગુમાવનારા લોકોએ આખરે પોલીસના દરવાજા ખટખટાવ્યા છે.સિક્યોર ગ્રુપ ઓફ કંપનીઝ.
કંપનીનું નામ ભલે સિક્યોર હોય પરંતુ તેમાં ઉંચા વળતરની લાલચે રોકાણ કરનારાઓ માટે આ સૌથી ઇનસિક્યોર કંપની સાબિત થઇ છે. સુરતના અમરોલીમાં સિક્યોર લાઇફ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા વિવિધ કંપનીઓ ઉભી કરી રોકાણ દ્વારા ઉંચા વ્યાજની લાલચ આપતા અનેક એજન્ટોએ તેમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એજન્ટોના ૫૭ લાખ અને અંદાજે ૫ હજાર રોકાણકારોના મળી કુલ ૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કંપનીમાં કરવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ સુરતની તમામ બ્રાન્ચમાં તાળા મારી દેવાતા રોકાણકારોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રોકાણકારોએ આ મામલે કંપનીના ૩ ડાયરેક્ટર અને બ્રાન્ચ મેનેજર મળીને કુલ ૪ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલ ૫૭ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ લીધી છે. તેમજ સુરતમાં અન્ય કેટલાક લોકોના નાણાં ફસાયેલા છે તે અંગે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. રાતોરાત ડબલ કે ટ્રીપલ ગણા પૈસા કમાવવાની લાલચમાં અનેક રોકાણકારોએ તેમની મહામૂલી મૂડી ગુમાવી છે. પરંતુ છેતરપિંડીના આવા કિસ્સા વારંવાર બહાર આવતા હોવા છતાં લોકોની આંખો ઉઘડતી નથી તે પણ હકીકત છે.