આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળ સ્થિત સરકારી હોસ્પિટલમાં રૂા. ૨૦ લાખનાં ખર્ચે ટીબી રોગનાં સચોટ નિદાન માટે વધુ એક સુવિધા આપવામાં આવી છે. જિલ્લા ક્ષય કેન્દ્રમાં અત્યાર સુધી ક્લચર એન.ડી.એસ.ટી. પધ્ધતિથી ટીબીનું નિદાન થતું જેમાં બે થી ચાર મહિના જેટલો વિલંબ થતો. સીબીનાટ લેબ કાર્યરત થતાં તદન નિઃશૂલ્ક માત્ર બે કલાકમાં ટીબીનું નિદાન શક્ય બનશે.
વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત આચાર્ય, સ્ટેલા મેરી ટ્રસ્ટના ટ્રસ્ટી કે.થોમસ, ક્ષય અધિકારી ડો.જીતેન્દ્ર બામરોટીયાની ઉપસ્થિતિમાં આ લેબોરેટરીનું લોકાર્પણ કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં ૧૩૭૮૬ ટીબીનાં શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૧૯૩૭ દર્દીઓને ટીબી માલુમ પડતા સારવાર ચાલુ કરવામાં આવી છે. જિલ્લામાં ઝેરી ટીબીનાં ૨૯ દર્દી નોંધાયેલ છેે જેને સારવાર આપવામાં આવે છે. સ્ટેલા મેરી ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં ૫૪૨ ટીબીનાં દર્દીઓને એપ્રિલ-૧૬ થી પોષણયુક્ત ખાદ્ય કીટ આપવામાં આવે છે.
ટીબીનાં દર્દીઓને રોગમુક્તિ માટે આ લેબ આર્શીવાદરૂપ થશે. આ લેબમાં પ્રસ્થાપિત જીન એક્સપર્ટ મશીન ઓટોમેટેડ અને મોલેક્યુલર બેઝ હોવાથી બે કલાકમાં પરિણામ મળતા દર્દીનું ઝડપી નિદાન થતાં ઝડપથી અસરકારક સારવાર આપી શકાશે.
ઉપરાંત ટીબી અને ઝેરી ટીબીનું અતિ ઝડપી પરીક્ષણ કરતા જીન એક્સપર્ટ મશીનની આગવી વિશેષતા એ છે કે, સ્પુટમ માઇક્રોસ્કોપીથી ટીબીનાં જે જીવાણું શોધી શકાતા ન હોય તે પણ શોધી શકાશે. આ પ્રકારનો ટીબી ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં ઘણો ખર્ચાળ હોવાથી ગરીબ કે મધ્યમવર્ગીય દર્દીઓ કરાવી શકતા નથી જે સુવિધા સરકારી હોસ્પિટલ, જિલ્લા ક્ષય કેન્દ્ર વેરાવળ ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
આ તકે ડો.ફીચડીયા, ડો.કણસાગરા, ડો.બારડ, ડો.હરીયાણી ડો.ચૈાધરી, સુપરવાઇઝર નાઘેરા સહિત આરોગ્ય સ્ટાફ સહભાગી થયા હતા.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
આગળની પોસ્ટ