Aapnu Gujarat
બ્લોગ

ભારતીય સમાજની માનસિકતા અને સ્વચ્છતા અભિયાન

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) એ થોડા સમય પહેલા ભારતના નાના-મોટા ૨૯૯ શહેરોને આવરી લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટના આંકડા આશ્વર્ય પમાડે એવા હતા. આજની શહેરની ભણેલી-ગણેલી પેઢી આઝાદીકાળની આબાદીની તુલનાએ વધુ શિક્ષિત અને સંસ્કૃત ગણાય છે પણ બદલાયેલી લાઇફ સ્ટાઇલના કારણે આજે લોકો માથાદીઠ ૮ ગણો વધુ કચરો ઉત્સર્જિત કરે છે. એટલે કે વસતી વધી છે એટલે કચરો વધે છે એ તર્કને થોડીવાર બાજુ પર રાખીએ તો આ સૌથી મહત્ત્વની બાબત ગણી શકીએ કે ભારતીયોનું ત્યારની તુલનાએ માથાદીઠ કચરો ઉત્પન્ન કરવાનું પ્રમાણ સતત વધ્યું છે. આપણે રોજનો માથાદીઠ ૫૦૦ ગ્રામ કચરો પેદા કરીએ છીએ. એ જ અહેવાલ પ્રમાણે ૨૯૯ શહેરોના માત્ર ૧૩ કરોડ લોકોનો એક દિવસનો કચરો ૫૦ હજાર ટન થાય છે. ભારતમાં શહેરોમાં વસતા લોકોની સંખ્યા ૩૭-૪૦ કરોડ જેટલી છે. એટલે જો એવરેજ કાઢીએ તો શહેરીજનોનો કચરો જ ઓછામાં ઓછો દરરોજનો દોઢ લાખ ટન થાય છે. આ તો સરેરાશ થઈ, પણ આંકડા શું કહે છે?
દેશની ૪૨૪ મહાનગર પાલિકા અને નગરપાલિકાઓ દરરોજનો ૧.૬ લાખ ટન કચરો એકઠો કરે છે. ચંદીગઢ માથાદીઠ દિવસનો ૪૭૫ ગ્રામ અને તમિલનાડુ માથાદીઠ ૪૬૭ ગ્રામ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતીઓ સરેરાશ દરરોજનો ૪૫૧ ગ્રામ કચરો ઉત્પન્ન કરીને દેશની વધતી જતી સમસ્યામાં પોતાનું યોગદાન નોંધાવે છે. સરકારને સોંપાયેલા અહેવાલના જો આવા ભયાવહ આંકડા હોય તો વાસ્તવિકતા આનાથી ઘણી અલગ અને કચરા કરતા વધુ ગંદી હોય શકે છે!
ગંદકી સામે સ્વાભાવિક રીતે જ મોટો જંગ શહેરોના ભાગે જ આવે છે. એના ય પાછા કારણો છે. શહેરની તુલનાએ ગામડાંઓમાં સ્વયંમ્‌ સંચાલિત સફાઈ અભિયાન રહેણીકરણીમાં વણાયેલું છે. ઘરની આસપાસ, ફળિયામાં અને ગામની નાની-મોટી ગલીઓની સફાઈ આજુબાજુમાં રહેતા પરિવારની મહિલાઓ કરી જ નાંખતી હોય છે અને વળી એ કચરો શહેરની તુલનાએ નાશ ન પામે એવો નથી હોતો. પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ અને ખાસ તો ઝાડના પાંદડા જેવો સુકો કચરો વધુ હોવાથી એનો નાશ કરવો સરળ છે અથવા તો છાણ વગેરેની સાથે ઉકરડાંઓમાં નાખી દેવામાં આવે તો સડી જાય પછી ખેતરમાં કામ આવતું ઉપયોગી ખાતર પણ બની જાય છે. વળી, ગામડાંઓની વસતીના પ્રમાણમાં એ કચરો ગંજ ખડકાય એટલો નથી હોતો. બીજી તરફ શહેરોમાં એમાંનું કશું જ પ્રેક્ટિકલી શક્ય નથી. આસપાસની સફાઈ કરવી કે એવા ગંજ ન થવા દેવા વગેરે રોજિંદા જીવનમાં વ્યવહારમાં ઉતારવા અઘરા છે. ફરજિયાત સિસ્ટમને ફોલો કરવાની હોય છે. જાહેર કચરા ટોપલીમાં કચરો પધરાવવો, સફાઈ કામદારો એની અનુકુળતાએ આવે અને ત્યાર પછી મહાનગર પાલિકા કે નગરપાલિકાના વાહનો તેની ખુલ્લાં વાહનોમાં હેરફેર કરે. હેરફેર વખતે ય એ વાહનો બદબૂ ફેલાવીને તેની હાજરીની ચાડી ખાશે જ એ વાત તો જાણે પાક્કી! આ બધી જ પ્રક્રિયાના અંતે જેટલી સફાઈ થાય એનાથી સંતોષ મેળવવાનો અને ન થાય તો બળાપો કાઢવાનો એમ બે વિકલ્પ હંમેશા અવેલેબલ હોય જ છે. વર્ષોના વિભિન્ન રિપોટ્‌ર્સ પછી સ્વચ્છતામાં ઉંણા ઉતર્યા એના કારણો સ્પષ્ટ છે, બજેટ માતબર ફાળવાઈ રહ્યું છે, વ્યવસ્થા પણ ઠીક ઠીક થઈ છે, લોકોમાં સારી એવી જાગૃતિ છે. તો પછી આપણી સ્વચ્છતા સિસ્ટમની આવી ખરાબ હાલત થઈ કેમ?
આખા ભારતમાં મૂળે આપણી સિસ્ટમ શરૂઆતથી જ નિષ્ફળતાના આયામો સર કરતી આવી છે. કચરાના કલેક્શનથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને નિકાલ સુધીના બધા જ સ્તરે આપણું વ્યવસ્થાતંત્ર વામણું શબ્દને પણ વિરાટતાનો અહેસાસ કરાવે એટલું નિમ્નસ્તરનું ઠર્યું છે. તંત્રની બધા જ ક્ષેત્રોમાં જે ઘરેડ રહી છે એવું જ કંઈક આ બાબતે ય થયું, પણ સડો પેસી ગયો ત્યાં સુધી એમાં સુધારા ન થયા એટલે એ વધુ બદબૂદાર લાગે છે. શરૂઆતથી જે મેથડ અપ્લાય થઈ હોય એમાં કશું જ નવું ન કરીને વર્ષો સુધી ચલાવ્યે રાખવાનું વલણ રોગની જેમ ભેળાય ગયું છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મળતિયાઓને મુનાફો કરાવી દેવાના પેંતરા રૃપે છેક કચરાના ટ્રાન્સપોર્ટેશનથી પ્રોસેસિંગ સુધીમાં બધુ લોલમંલોલ ચાલ્યા કરે છે-ચલાવી લેવાય છે.
૨૦૦૦ના વર્ષમાં બનેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે કચરામાં ત્રણ પ્રકારની શક્યતા ચકાસવી ફરજિયાત છે. રિડયુસ, રિયુઝ અને રિસાઇકલઃ કચરો ઓછો કરવો, એમાંથી જેનો ફરી વપરાશ થાય એને અલગ કરીને ઘટતું કર્યા બાદ એનો અમલ કરવો અને તમામ કચરાને બે ભાગમાં (સુકો અને ગળેલો) વહેંચીને તેની રિસાઇક્લિંગની પ્રક્રિયા હાથ ધરવી પરંતુ આ બધામાં શ્રમ વધુ પડે એટલે કોઈ માથાકૂટમાં પડવાને બદલે કોન્ટ્રાક્ટ આપી દો, સફાઈ કામદારો એનું કામ કરશે, વાહનો એની રીતે ચાલતા રહેશે અને નક્કી થયેલી જમીન ઉપર જ્યાં સુધી કોઈ(સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ કે અન્ય એજન્સીઓ) વાંધો ન ઉઠાવે ત્યાં સુધી રહેવા દો… પ્રકારનું વલણ સરકારી બાબુઓ અને શાસકોની માનસિકતામાં વણાઈ ગયું છે. આ બધાના પરિણામે આ ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર જીવાતની માફક ખદબદી રહ્યો છે. કચરો નાખવાની ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યાઓની અછત તો છે જ પણ અછતના પરિણામે તેની સાઇઝ અને વિસ્તાર નિયમોને હડસેલીને ખૂબ ઝડપથી વધારાઈ રહ્યાં છે. દેશમાં ઘણાં ડમ્પિંગ ગ્રાઉન્ડ તો ૧૦૦ ફીટ ઊંચા છે અને હવે તેની ઉંચાઈ વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી મંજૂરી આપે એની રાહ જોવાઈ છે.
શું કામ કચરો એકઠો કરીને સ્વચ્છતા નથી લઈ આવી શકાતી તેના કેટલાક અવરોધો- ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરી શકાય એવી વ્યાપક વ્યવસ્થાનો અભાવ. મેગાસિટીઝ જેવા કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચૈન્નાઈ જેવા શહેરોમાં ઘરે ઘરે જઈને કચરો એકઠો થઈ રહ્યો છે, પણ એમાં સરકાર કરતા એનજીઓનો ફાળો વધુ છે. એટલે એ કામ સરકાર કરે છે એવું કહી શકાય નહીં. બીજું કે કચરો ઉપાડવાથી લઈને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ સિસ્ટમ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. સ્વચ્છતા કરતા એના દ્વારા વધુમાં વધુ કેમ પૈસા રળી શકાય અને કેટલું ખોટું થઈ શકે એ કરવામાં જ વધુ રસ આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં હોય છે. કચરાના નિકાલ અથવા તો નાશ માટે આપણે ત્યાં એકસૂત્રતાનો અભાવ છે. કોઈક કહે રિસાઇકલ કરીએ તો એને ફંડ આપીને કામની સોંપણી, કોઈ કહે ગેસ બનાવી શકાય છે તો એને પરવાનો, કોઈ કહે ઉર્જા ઉત્પન્ન કરી શકાય તો એેનેય સબસિડી, કોઈ કહે પ્રાણીઓની મદદથી કચરામાંથી કમ્પોસ્ટ કરીએ તો જમીનને ઉપજાઉ બનાવી શકાય તો એનેય પરમિશન, કોઈ કહે વિદેશમાં કચરાના નિકાલ માટે અફતાલુન આઇડિયા છે, તો એનેય આર્થિક સહાય! આ બધાના પરિણામે જે સ્થાનિક સત્તાને જેમ પરવડે એમ કચરાનો મનફાવે તેમ નિકાલ થાય છે. એક રીતે બધી જ પદ્ધતિ અખતિયાર છે અને આમ જૂઓ તો કશું જ અમલી નથી!
દેશભરમાં બાયોગેસ, ઉર્જા માટેના અને અન્ય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વિભિન્ન લગભગ ૩૦૦ પ્લાન્ટ્‌સ કાર્યરત છે અને એ માત્ર કાગળ પર ચાલતા હોય એમ એ પ્લાન્ટ્‌સમાંથી આટલા વર્ષોમાં દેખીતો ફાયદો થયો હોય એવો એક અહેવાલ મેળવવો મુશ્કેલ છે. એક ટનના કચરા પાછળ અંદાજે રૃપિયા ૫૦૦થી ૧૫૦૦ સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચનો મોટો હિસ્સો એટલે કે ૬૦થી ૭૦ ટકા કચરો એકઠો કરવા પાછળ અને ૨૦-૨૫ ટકા ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચાય છે. કુલ બજેટનો માંડ ૫ ટકા ભાગ તેની પ્રોસેસ માટે વપરાય છે. પ્રોસેસિંગના અભાવે જ કચરાના મહાકાય ગંજનું કદ અવિરત વધી રહ્યું છે.
બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ ભારત સ્વચ્છ છે કે કેમ અને શું ખૂટે છે એનો વાર્ષિક અહેવાલ સીપીસીબીએ આપવાનો હોય છે. સીબીસીબી એ અહેવાલ ભારતના વન્ય અને પર્યાવરણ મંત્રાલયની સાથે સાથે જે તે રાજ્યોને સુપરત કરે છે, પણ રાજ્યોના સત્તાધીશો કોઈક કારણોથી મહાનગરપાલિકા-નગરપાલિકાઓ સુધી એ રિપોર્ટ પહોંચાડતા નથી એવી ફરિયાદ પણ ૨૦૧૧માં ઉઠી હતી. જો અહેવાલમાંથી કશો ધડો દેવાનો હોય જ નહીં તો પછી તૈયાર કરવાનો શું અર્થ છે એવો મત પણ વ્યક્ત થતો રહે છે. વર્ષોથી જેટલા અહેવાલ સરકાર પાસે પહોંચે છે એમાં કચરાના કલેક્શનની સિસ્ટમમાં અને પ્રોસેસિંગ સિસ્ટમમાં ખામી હોવાનું ગાઈ વગાડીને કહેવાય છે. ઘણી ખરી નગરપાલિકાઓ પાસે પ્રોસેસિંગ માટે પોતાની જમીન પણ નથી હોતી એ વાતનો ઉલ્લેખ થતો રહેતો હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી ગંભીર વાતનો છેદ જ ઉડી જાય છે.
અમેરિકા-યુરોપિયન કંટ્રીની મેથડ અપ્લાય કરવા છતાં ફાયદો થયો નથી. કેમ કે, ત્યાં ડ્રાય કચરો વધુ છે એટલે એ જ મેથડને અહીં આપણે અપ્લાય કરીએ તો ફાયદો થવાનો નથી. જોકે, કરોડોનું આંધણ કરીને પણ આંધળું અનુકરણ થાય છે જેનું કશું ઠોસ પરિણામ મળતું નથી.
સમસ્યાના તોડની રીત અલગ હોઈ શકે પણ દાનત ખોરાટોપરા જેવી ન હોય તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ અશક્ય નથી. કરોડોનું બજેટ, સરકારની દાનત અને લોકોની ઈચ્છાશક્તિ ભળે તો અને તો જ ભારત સ્વચ્છતા તરફ પગલા માંડી શકશે. નહીંતર આવી હાલતમાં તો શહેર તો શું શેરી પણ સ્વચ્છ કરવી કપરી છે!

Related posts

ભારતમાં ૧.૧૯ લાખ બાળકો કોરોનાકાળમાં અનાથ બન્યા : રિસર્ચ

editor

MORNING TWEET

aapnugujarat

મનોહર પરિકર તેમની સાદગી માટે સદાય યાદ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1