પોતાના નિવેદનોને કારણે સમાચારોમાં રહેનારા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં રહેનારા લોકો પર ટીપ્પણી કરી છે. રાયપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન ભાગવતે કહ્યું કે, ભારતમાં રહેનારા દરેક લોકો સમાન છે અને બધાનું ડીએનએ પણ સમાન છે. ભાગવતે કહ્યું કે, ભારતની ખાસિયત છે કે બહારના લોકોને ભારત સાથે જોડે છે. અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી અને તિબેટથી શ્રીલંકા સુધીમાં જે લોકો રહે છે તે બધાનું ડીએનએ બતાવે છે કે દરેકના પૂર્વજ એક જ છે.કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન ભાગવતે કહ્યું, આજે આપણે એકબીજાને ભૂલી ગયા છીએ. સંબંધો ભૂલી ગયા છીએ. એકબીજાનું ગળું પકડી ઝઘડો કરી રહ્યાં છીએ, પરંતુ વાસ્તવિકતા છે કે આપણે બધા એક જ ઘરના છે. આપણા બધાના પૂર્વજો સમાન છે. ભાગવતે કહ્યું કે, ભારત તે સંસ્કૃતિને માનનારો દેશ છે, જેને વિશ્વને વિજ્ઞાનથી અવગત કરાયો. તેમણે કહ્યું કે, તેઓ ગૌરક્ષા, ગ્રામ વિકાસ, જૈવિક ખેતીનો આગ્રહ કેમ કરી રહ્યાં છે? આપણે કેમ એવું ઈચ્છીએ છીએ કે વિભાજન થયેલા લોકો ફરીથી સંગઠિત થાય? કેમ આપણે એવું ઈચ્છીએ છીએ કે સમાજમાં વિવિધતાને લઈને ભેદભાવ, મતભેદ અને વિષમતા ન હોવી જોઈએ?
મોહન ભાગવતે પોતાના વક્તવ્યમાં નારી શક્તિનું સ્મરણ કરી રાની દુર્ગાવતીને યાદ કર્યા હતાં. તેમણે કહ્યું કે, રાની દુર્ગાવતીએ આદિવાસીઓ માટે પોતાનું બલિદાન આપી દીધું. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે આદિવાસી સમાજની અવગણના થઈ રહીં છે અને શોષણ થઈ રહ્યું છે. જેના પરિણામે આદિવાસી સમુદાયને રાષ્ટ્રવિરોધી શક્તિઓ પોતાની તરફ ખેંચી રહીં છે.