ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડાના ખેડૂતો રોષે ભરાયા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાતી મગફળીના ત્રણ કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અને માગ નહીં સંતોષાય તો ચક્કાજામ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.મગફળીના ટેકાના ભાવે ખરીદીને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક મગફળી કેન્દ્રો બંધ છે તો ક્યાંક ખેડૂતોની મગફળીના પૈસા ચૂકવાયા નથી.
ઉના અને ગીર ગઢડા એમ બન્ને તાલુકામાં મગફળી ખરીદીના ત્રણ કેન્દ્રો શરૂ કરાયા હતા. પરંતુ છેલ્લા અઠવાડિયાથી તમામ કેન્દ્રો બંધ કરી દેવાયા છે. બંને તાલુકામાં અત્યાર સુધી ૩૦ ટકા ખેડૂતોએ મગફળી વેચવાનો લાભ મળ્યો છે.જ્યારે હજુ ૭૦ ટકા ખેડૂતોનાં ઘરમાં મગફળીનો જથ્થો પડ્યો છે. મગફળી કેન્દ્રો બંધ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ તેવું કહેવામાં આવે છે કે સ્થાનિક ગોડાઉન હાઉસફુલ થઇ ગયા છે. લાંબા સમય સુધી એકધારી મગફળીની ખરીદી ચાલુ રહેતી નથી. ખેડુતોને લાખ્ખો રૂપિયાનું નૂકશાન થઇ રહ્યું છે.