ભારતીય સેનાએ આજે અંકુશરેખા પર મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેના ભાગરુપે સાત પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અન્ય ચાર જવાનો ઘાયલ પણ થયા હતા. જમ્મુ કાશ્મીરમાં પૂંચ જિલ્લામાં અંકુશરેખા ઉપર અગ્રિમ ચોકીઓ ઉપર સેનાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે, કોટલી સેક્ટરમાં જનદ્રુતમાં અંકુશ રેખા પર તેના ચાર સૈનિકો માર્યા ગયા છે. છેલ્લા થોડાક દિવસથી ઉરી સેક્ટરમાં ઘુસણખોરીને લઇને માહિતી મળી રહી હતી. પાકિસ્તાને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર યુદ્ધવિરામ ભંગના ૭૨૦ વખત પ્રયાસો કર્યા હતા જે છેલ્લા સાત વર્ષની અંદર સૌથી વધારે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા ઉપર યુદ્ધવિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો અને ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા છે. ગયા સપ્તાહમાં જ પાકિસ્તાની સેનાને ફરી એકવાર ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા સ્થિતિને સામાન્ય બનાવવા તમામ પ્રયાસો કરાયા હોવા છતાં પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં મોટી સફળતા હાસલ કરી હતી. ૬ ત્રાસવાદીઓને મોટુ ઓપરેશન હાથ ધરીને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં અન્ય એક ત્રાસવાદી પણ ઠાર થયો હતો. જો કે, તેના અંગે માહિતી મળી શકી નથી. જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિર્દેશક સેસ પૌલ વૈદ્યએ કહ્યું છે કે, જૈશે મોહમ્મદના આ ત્રાસવાદીઓ દુલાન્જા ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફની કાર્યવાહીમાં આ આતંકવાદીઓ માર્યા ગયા હતા.