વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં પોતાના ઇઝરાયેલી સમકક્ષ બેન્ઝામીન નેત્યાનાહુના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા છે. ઇઝરાયેલી વડાપ્રધાન એવા સમય પર ભારત આવી રહ્યા છે જ્યારે હાલમાં જ ભારતે યેરુસાલેમના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના વિરોધમાં મત આપ્યુ હતુ. હકીકતમાં અમેરિકા યેરુસાલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપે છે જેનો આંતરરાષ્ટ્રીય સ્તર પર જોરદાર વિરોધ થયો હતો. ભારત દ્વારા કરવામાં આવેલા વોટિંગ સામે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૩ બાદ નેત્યાનાહુુની આ યાત્રા કોઇ પણ ઇઝરાયેલી વડાપ્રધાનની આ પ્રથમ ભારત યાત્રા છે. વર્ષ ૨૦૦૩માં એરિયલ શેરોન ભારતના પ્રવાસે આવ્યા હતા. નેત્યાનાહુ ૧૬મી જાન્યુઆરીના દિવસે પહોંચી રહ્યા છે, તેઓ ચાર દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રવાસની શરૂઆતમાં તેઓ રાયસીના ડાયલોગને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ તેમના પત્ની સાથે આગ્રા પહોંચશે. તાજમહેલને નીહાળશે. ત્યારબાદ મોદીની સાથે તેઓ અમદાવાદમાં પહોંચનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ તેઓએ ઇઝરાયેલની સાથે મજબુત સંબંધ સ્થાપિત કરી લીધા હતા. નેત્યાનાહુ મુંબઇમાં બિઝનેસ લીડરોને પણ મળનાર છે. ત્યાં બેબી મોશેની સાથે ભાવનાશીલ સંબંધ પણ ગાળનાર છે. મોશેના માતાપિતા વર્ષ ૨૦૦૮માં મુંબઇ હુમલામાં માર્યા ગયા હતા. એ વખતે મોશે માત્ર બે વર્ષનો હતો. હવે ચાબડ હાઉસમાં રહે છે. મોદીએ આ વર્ષે જુલાઇમાં ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન મોશે સાથે વાતચીત કરી હતી. નેત્યાનાહુની યાત્રાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ