રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે આજે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીમાં એક સારા વડાપ્રધાન બનવાના તમામ જરૂરી ગુણ છે. તેમના નેતૃત્વને લઇને પ્રશ્નો ઉઠાવવા જોઇએ નહીં. આની સાથે જ તેમણે ભાજપ પર કોંગ્રેસી નેતાની છાપ ખરાબ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાનો આક્ષેપ કર્યો હતો. દેશમાં આગામી વડાપ્રધાન કોણ રહેશે તે મુદ્દા ઉપર પ્રશ્ન કરવામાં આવતા તેજસ્વીએ કહ્યું હતું કે, ૨૦૧૯માં લોકસભા ચૂંટણી બાદ મહાગઠબંધનના ઘટક પક્ષો સામૂહિકરતે આ મુદ્દાને ઉકેલી લેશે. રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર ક્યારે પણ કોઇ પ્રશ્ન મુકવામાં આવ્યા નથી. તેમની સામે નકારાત્મક અભિયાન છતાં પ્રેમાળ અને મોટા દિલથી આગળ વધીને લોકોના મન જીત્યા છે. રાહુલે ૬૯ ટકા મતદાતાઓના મનમાં આત્મવિશ્વાસ ભર્યો છે. આ લોકો આગામી દિવસોમાં પણ કોંગ્રેસની સાથે રહેશે તેવો વિશ્વાસ તેજસ્વી વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધી વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવા તમામની પસંદ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા લાલૂ યાદવના પુત્ર તેજસ્વીએ કહ્યું હતું કે, લોકશાહી દેશમાં લોકતંત્ર હમેશા લોકકેન્દ્રિત હોય છે. વ્યક્તિ કેન્દ્રીત હોતું નથી. અમે તાનાશાહીવાળી સરકાર ઇચ્છતા નથી.