શ્રી સોમનાથ મહાદેવને અમદાવાદના મહિપતસિંહ વેગળ દ્વારા વિશેષ ત્રિરંગા કલરની પાઘડી અર્પણ કરવામાં આવેલ હતી. આ પાઘડી માટે તેઓને ઉજ્જૈન મહાકાલ ખાતે થી પ્રેરણા મળેલ, 2017 માં 15 ઓગસ્ટએ તેઓએ ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવને પાઘડી અર્પણ કરેલ ત્યારે સંકલ્પ કરેલ કે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે તેઓ સોમનાથ મહાદેવને વિશેષ ત્રીરંગી પાઘડી અર્પણ કરશે.
આ પાઘડી અમદાવાદના સુનીલ સોની એ 4 દિવસની મહેનત બાદ, સ્પંચની આટીઓ, સીલ્ક, વેલ્વેટ, સ્ટોન, ફુલ પેચવર્ક પુઠ્ઠા માંથી ખાસ ડીઝાઇન કરી તૈયાર કરેલ છે. તેઓ ગુજરાત તથા દેશભરના પ્રખ્યાત તીર્થોના ખાસ વાઘા પણ તૈયાર કરે છે, જેઓ જગન્નાથજી, દ્વારકાજી, ડાકોર, શ્રીનાથજી સહિત તીર્થોમાં વિશેષ વાઘા તૈયાર કરે છે.
તેઓએ આ આધ્યાત્મ અને રાષ્ટ્રીયતાના માનબીંદુ સમા તીર્થ સોમનાથ મહાદેવની પાઘડી તૈયાર કરી ખુબજ પ્રેરણાત્મક અનુભુતી વ્યક્ત કર્યાનું જણાવેલ હતું.
તેઓએ 26 જાન્યુઆરી માટે તા.23.જાન્યુઆરીના પાઘ સોમનાથ ખાતે અર્પણ કરેલ હતી. આજે સાંજે 4 થી 6 દરમ્યાન પુજાચાર્યશ્રી ધનંજયભાઇ દવે તથા ટીમ દ્વારા આ વિશેષ શૃંગાર તૈયાર કરવામાં આવેલ હતો. આ અગાઉ પણ જન્માષ્ટમી પર્વે મહિપતસિંહ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને રજવાડી પાઘડી અર્પણ કરેલ હતી. સોમનાથ મહાદેવને ભક્તો અલગ અલગ ભેટ આપી પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે, ત્યારે મહિપતસિંહ ની અનોખી ભક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ