ટુજી કૌભાંડમાં કોર્ટના ચુકાદાથી રાહતનો અનુભવ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટી રાહત મળી ગઈ છે. હવે મુંબઈ હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. હાઈકોર્ટે આદર્શ સોસાયટી કૌભાંડ મામલામાં કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્વાણ પણ કેસ ચલાવવાની મંજુરી આપવાના રાજ્યપાલના આદેશને ફગાવી દીધો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ અશોક ચવ્વાણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, રાજ્યપાલનો આ આદેશ સંપૂર્ણપણે રાજકીયરીતે પ્રેરિત અને પક્ષપાતપૂર્ણ હતો. તેઓએ ફરી એકવાર આને કમનસીબ તરીકે ગણાવ્યો છે. અશોક ચવ્વાણે કહ્યું છે કે, કોર્ટનો વિસ્તૃત આદેશ વાંચી લીધા બાદ જ તેઓ આ મામલામાં કોઇ વધુ ટિપ્પણી કરશે. અત્રે નોંધનીય છે કે, આ મંજુરી મહારાષ્ટ્રના રાજ્યપાલે સીબીઆઈને વર્ષ ૨૦૧૬માં આપી હતી. ચવ્વાણના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવે પુરાવાના આધાર પર નહીં બલ્કે રાજકીય માહોલના કારણે આને મંજુરી આપી હતી. અશોક ચવ્વાણ પર આદર્શ સોસાયટીમાં પોતાના સંબંધીઓને બે ફ્લેટ આપવાના બદલામાં વધારાની ફ્લોર સ્પેશ ઇન્ડેક્સ આપવાનો આક્ષેપ મુકાયો હતો. તેમના ઉપર આક્ષેપ થયો હતો કે, જ્યારે તેઓ મહેસુલી મંત્રી હતા ત્યારે ગેરકાયદેરીતે સેના સાથે નહીં જોડાયેલા લોકોને પણ ૪૦ ટકાથી વધારે ફ્લેટની મંજુરી આપી હતી. સીબીઆઈની એફઆઈઆરમાં તેમના નામનો ઉલ્લેખ કરાયો હતો પરંતુ ડિસેમ્બર ૨૦૧૩માં એ વખતના રાજ્યપાલ શંકર નારાયણે ચવ્વાણ ઉપર ખટલો ચલાવવાની મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. માર્ચ ૨૦૧૫માં હાઈકોર્ટે ચવ્વાણની માંગ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.