દેશના સૌથી મોટા કૌભાંડો પૈકી એક ટુજી મામલામાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઇ ગઇ છે. બંને પાર્ટીઓ ભાવિ રણનીતિ ઉપર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેસમાંથી નિર્દોષ છુટેલા ડીએમકેના નેતા કાનીમોઝી સાથે વાત કરી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ કાનીમોઝી સાથે વાત કરી છે. કાનીમોઝીએ પૂર્વ વડાપ્રધાનને મળવાનો પણ સમય માંગ્યો છે. એમ માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં ભાવિ રણનીતિને લઇને બેઠક કરી શકે છે. આના માટે તે ડીએમકે, સમાજવાદી પાર્ટી અને અન્ય પાર્ટીઓની સાથે મળીને ભાજપને ટાર્ગેટ કરવાના પ્રયાસ કરી શકે છે.
કોંગ્રેસ પાર્ટી ઉત્સાહિત દેખાઈ રહી છે. બીજી બાજુ ભાજપે પણ કોઇ તક ગુમાવી નથી. કોર્ટનો ચુકાદો આવતાની સાથે ડીએમકેના સમર્થકોએ દિલ્હી અને ચેન્નાઈમાં ઉજવણી કરી હતી. કોંગ્રેસના કેટલાક નેતા પણ ઉત્સાહિત દેખાયા હતા. રાજ્યસભામાં ધાંધલ ધમાલ મચાવી હતી. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જે કૌભાંડના આરોપ ઉપર અમે વિપક્ષમાં આવ્યા છીએ તે કૌભાંડ થયું જ નથી. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, જ્યારે તેઓએ ઝીરો ટોલરન્સની વાત કરી ત્યારે વિપક્ષે ટાર્ગેટ બનાવવાની તક જવા દીધી ન હતી. લોકસભા અને રાજ્યસભામાં આગામી દિવસોમાં આ મામલો ભારે ધાંધલ ધમાલ જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.