ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના ખાસ અદાલતના ચુકાદાને પડકાર ફેકવાની સીબીઆઈ અને ઇડી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બંને આ ચુકાદાને પડકાર ફેંકીને અપીલ કરશે. ખાસ અદાલતે આજે આ મામલામાં તમામ ૧૬ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. સાથે સાથે તપાસ સંસ્થા તરફથી રજૂ કરવામાં આવેલા મામલાને ફગાવી દીધો હતો. એજન્સીને સામાન્યરીતે કોઇ ચુકાદાના અભ્યાસમાં મહિનાઓનો સમય લાગે છે ત્યારબાદ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવે છે પરંતુ આ મામલામાં સીબીઆઈએ ચુકાદો આવ્યા બાદ તરત જ જાહેરાત કરી હતી કે, પ્રથમ દ્રષ્ટિથી આ મામલો સમીક્ષાનો બને છે. સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાળે કહ્યું હતું કે, ટુજી કૌભાંડ સાથે સંબંધિત ચુકાદાની પ્રથમ દ્રષ્ટિએ સમીક્ષા કર્યા બાદ એવું લાગે છે કે, આરોપોને આગળ વધારવા માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો સંબંધિત અદાલતે યોગ્યરીતે વિચાર્યા નથી. સીબીઆઈ આ મામલામાં જરૂરી કાયદાકીય પગલા લેશે. આ અપીલ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પ્રવક્તાએ હકારાત્મક જવાબ આપ્યો હતો. પૂર્વ દૂરસંચાર મંત્રી એ રાજા, ડીએમકેના સાંસદ કાનીમોઝીને આજે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. કોર્ટે અન્ય ૧૫ આરોપીઓ અને ત્રણ કંપનીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. ઇડીએ ખાસ અદાલતના ચુકાદાને પડકાર ફેંકવાનો નિર્ણય કર્યો છે. ખાસ કોર્ટે ૧૯ લોકોને ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી સાથે સંબંધિત મનીલોન્ડરિંગ મામલામાં નિર્દોષ જાહેર કરી દીધા છે. ઇડીના અધિકારીઓએ કહ્યું છે કે, એજન્સી ચુકાદામાં અભ્યાસ કરશે અને પુરાવા તપાસ બાદ હાઈકોર્ટમાં અપીલ કરશે. અધિકારીઓનું કહેવું છે કે, કોર્ટે માત્ર આ આધાર પર ઇડીના મામલાને ફગાવી દીધો છે કે, તપાસ સંસ્થાએ અંદાજના આધાર પર તપાસ કરી છે. બીજી બાજુ ભાજપના સાંસદ અને વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલામાં તમામ આરોપીઓ નિર્દોષ છુટી ગયા બાદ તેમને નિરાશા હાથ લાગી છે. તેમણે દાવો કર્યો હતો કે, તપાસ અધિકારી ભ્રષ્ટાચારની સામે લડવાને લઇને ગંભીર ન હતા. વડાપ્રધાન આ ચુકાદાથી બોધપાઠ લેશે. ભ્રષ્ટાચારની સામે અમારી લડાઈ યુદ્ધસ્તર પર જારી રહેશે. સ્વામીના નિવેદનને સ્પષ્ટ પ્રતિક્રિયા તરીકે ગણવામાં આવે છે. ઇડી અને સીબીઆઈ બંને ખાસ સીબીઆઈ કોર્ટના ચુકાદાને પડકાર ફેંકનાર છે. ઇડીના લોકોનું કહેવું છે કે, ટૂંકમાં જ અભ્યાસ કરવામાં આવશે. સંપૂર્ણ ચુકાદાની નકલ હજુ મળી નથી તેમ જણાવીને સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું છે કે, કાયદાકીય અભિપ્રાય લેવામાં આવ્યા બાદ નિર્ણય લેવાશે. ચાર્જશીટમાં ઇડીએ કેસમાં આરોપી તરીકે ડીએમકેના વડા કરુણાનિધિના પત્નિ દયાળુ અમ્મલને રાખ્યા હતા જેમાં આક્ષેપ કરાયો હતો કે, સ્વાન ટેલિકોમ લિમિટેડ દ્વારા ૨૦૦ કરોડ રૂપિયા ડીએમકે દ્વારા ચલાવવામાં આવતી કલેગનર ટીવીને આપી દેવામાં આવ્યા હતા. અંતિમ રિપોર્ટમાં ઇડીએ ૧૦ વ્યક્તિગતોના નામ આપ્યા હતા. નવ કંપનીઓના આરોપીઓ તરીકે નામ આપ્યા હતા. પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુના માટે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. સીબીઆઈ દ્વારા ૨૦૧૧માં પ્રથમ ધરપકડ કરવામાં આવ્યાના સાત વર્ષ બાદ આ ચુકાદો આવ્યો છે. મનમોહનસિંહના નેતૃત્વમાં અગાઉની સરકાર વેળા આ કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ સરકાર પોતે પણ હચમચી હતી અને તેની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. આજે આ સમગ્ર મામલાની ગૂંચ સંસદમાં પણ જોવા મળી હતી.
આગળની પોસ્ટ