સીબીઆઇની વિશેષ કોર્ટે નોઇડાનાં બહુચર્ચિત નિઠારી કાંડનાં નવમાં મામલામાં કોઠીનાં માલિક મોનિંદર સિંહ પંઢેર અને નોકર સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી છે. સીબીઆઇ કોર્ટે કોલી અને પંઢેર પર ક્રમશઃ ૩૫૦૦૦ અને ૨૫૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.આ પહેલા ગુરૂવારે કોલી અને પંઢેરને દોષિ ઠેરવવામાં આવ્યા હતાં.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંન્નેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. આ મામલામાં આરોપી નોકર સુરેન્દ્ર કોલી એક માત્ર છે જેને સૌથી વધારે વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી ચૂંકી છે.
નવમો મામલો ઘરમાં કામ કરનારી મેડ અંજલીનો છે, જેની બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. તેના લોહીથી લથપથ કપડા કોઠીથી મળી આવ્યા હતાં. કોર્ટે મોનિંદર સિંહ પંઢેર અને કોલીને ૩૭૬, ૩૦૨, ૨૦૧ વગેરે કલમો અંતર્ગત કસૂરવાર માન્યા છે.