જયપુરના કિલ્લાના રેમ્પર્ટ પરથી એક મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નજીકથી એક નોંધ પણ મળી આવી છે જેમાં પદ્માવતીને લઇને નારાજગી હોવાની બાબત ખુલી રહી છે. પદ્માવતી ફિલ્મની રજૂઆતને લઇને ભારે વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. હિન્દીમાં આ નોંધ લખવામાં આવી છે. નહારગઢ કિલ્લાની પર નોંધ લખવામાં આવી હોવાની માહિતી મળી છે. પોલીસે મૃત હાલતમાં મળી આવેલી વ્યક્તિની ઓળખ કરી લીધી છે. તે ૪૦ વર્ષીય ચેતન સૈની તરીકે ઓળખાઇ છે. પદ્માવતી શબ્દનો ઉલ્લેખ આ નોંધમાં કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, પદ્માવતી ફિલ્મને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન જારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઉપરાંત અન્ય જે રાજ્યોમાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં ફિલ્મની રજૂઆતને લીલીઝંડી મળી નથી. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે, આ ફિલ્મ શાંતિ આડે વિખવાદ સર્જી શકે છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય જાહેરમાં કહી ચુક્યા છે કે, જ્યાં સુધી ફિલ્મની પટકથામાં ફેરફાર કરાશે નહીં ત્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ફિલ્મની રજૂઆતને મંજુરી આપવામાં આવશે નહીં. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કહી ચુક્યા છે કે, જ્યાં સુધી પદ્માવતીમાં જરૂરી ફેરફાર કરાશે નહીં ત્યાં સુધી ફિલ્મને રાજસ્થાનમાં રજૂ કરવાની મંજુરી અપાશે નહીં. કોઇ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચે તે બાબત યોગ્ય નથી. મધ્યપ્રદેશમાં પણ આ ફિલ્મની રજૂઆતને રોકી દેવામાં આવી છે. પદ્માવતી ફિલ્મમાં શાહિદ કપૂર, દિપીકા અને રણવીરસિંહની ભૂમિકા છે. પદ્માવતી ફિલ્મને લઇને દેશભરમાં જોરદાર વિરોધ પ્રદર્શન જારી છે. શ્રેણીબદ્ધ રાજ્યોમાં આ ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે.