કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અને જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડા આજે અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા અને અહીંથી વડોદરા ખાતેના તેમના કાર્યક્રમ માટે જવા રવાના થયા હતા. જો કે, અમદાવાદની મુલાકાત દરમ્યાન અનામતના મુદ્દે સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, ભારત એવો દેશ છે કે તમે તમારી ઇચ્છાશકિત અને હિંમત હોય તો કંઇ પણ કરી શકવા સક્ષમ છો. તેના માટે અનામતની જરૂર નથી. અનામત સિવાય પણ જીવનમાં તમે આગળ વધી શકો છો. અનામત હોય તો જ વ્યકિત કંઇ કરી શકે તે જરૂરી નથી. અલબત્ત, અનામતની માંગણી લોકો કરે અને સરકાર તે દિશામાં તેની રીતે નિર્ણય લે તે અલગ બાબત છે પરંતુ અનામત સિવાય પણ આગળ આવી શકાય છે. કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરાના મુદ્દે સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો એ લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ચૂંટણી ઢંઢેરાનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે પરંતુ પ્રજા વચ્ચે જઇ તેની ઇચ્છાઓ, અપેક્ષાઓ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તેમાં સુધારો કરવો વાજબી લેખાશે અને તે મુજબ અમે કાર્યવાહી કરીશું. લોકોને સાંભળ્યા વિના ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો કોઇ અર્થ નથી. કોંગ્રેસ દ્વારા શિક્ષણ અને રોજગાર સહિતના પ્રશ્નોને ખાસ પ્રાધાન્યતા આપવામાં આવશે. આગામી પાંચ દિવસ સુધીના ચૂંટણી પ્રવાસમાં લોકોને સાંભળીને તેમને સાંભળીને તે મુજબ ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, સીસ્ટમના પિરામીડમાં સૌથી ટોચ પર બેઠેલાને ભલે તમે ધ્યાનમાં લો પરંતુ નીચેના સ્તરમાં રહેલા વર્ગને પણ મહત્વ આપવું તેનાથી વધુ જરૂરી છે, તેને તમે નજરઅંદાજ કરી શકો નહી. દેશના જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અનામત એવો વિષય છે કે, જે બધા માંગે છે પરંતુ અનામત હોવુ એ જરૂરી નથી. અનામત સિવાય પણ આ દેશમાં ઘણું બધુ કરી શકાય છે. ગુજરાતના દરેક લોકોએ કહેવું જોઇએ કે, હું ગુજરાત માટે શું કરીશ. તેમણે એમ પણ જણાવ્યું કે, પાંચ દિવસ દરમ્યાન ગુજરાતની જનતાની માંગણી અને લાગણી જાણ્યા બાદ કોંગ્રેસ પક્ષનો મેનીફેસ્ટો તૈયાર થશે.
આગળની પોસ્ટ