વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીના કારણે કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદ ઉપર બ્રેક મુકવામાં સફળતા મળી હોવાનો દાવો આજે કર્યો હતો. હવાલા કાંડને લઇને ઘણી બાબતોનો ખુલાસો થઇ ચુક્યો છે. કાશ્મીરમાં પાકિસ્તાનથી આવનાર ફંડ અંગેની સમગ્ર માહિતી મળી ચુકી છે પરંતુ આનાથી કોંગ્રેસને પરેશાની થઇ છે.
તેઓ બ્લેક ડે મનાવવાની તૈયારી કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ૮મી તારીખથી દેશભરમાં આંદોલન કરવાની તૈયારીમાં છે પરંતુ અમે ઇમાનદારી માટેના આંદોલનને જારી રાખીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે, ત્રણ લાખ કંપનીઓ ઉપર તાળા મુકી ચુક્યા છે. જે માત્ર કાગળ ઉપર હતી. આ ત્રણ લાખ કંપનીઓ બનાવટી હતી. એક કંપની એવી પણ મળી છે જેના ૨૧૦૦ બેંક ખાતાઓ હતા. વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશને રેલવે, માર્ગો અને હવાઈ માર્ગો સાથે જોડી દેવામાં આવનાર છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, બિમારી આપનાર લોકો આજે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ લોકો અમને પ્રશ્નો કરી રહ્યા છે. છેલ્લા ૩૦ વર્ષથી બેનામી સંપત્તિના કાયદાને રોકી રાખવામાં આવ્યો હતો. અમે તેમાં સુધારા કરીને તેને વધુ કઠોર બનાવી ચુક્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠકની વાત કરતા તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં વેપારીઓ અને અન્ય સમુદાયની નારાજગીને દૂર કરવા માટે અન્ય પગલા પણ લેવામાં આવશે. મોદીએ ખાતરી આપતા કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશને નવી ઉંચાઈ ઉપર લઇ જવામાં આવશે. પ્રચંડ બહુમતિ સાથે ભાજપને જીત અપાવવા ઉપસ્થિત લોકોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી બેવડા લાભ સામાન્ય લોકોને મળી શકશે.