રાજકીય વર્તુળોમાં અને રાજકીય પક્ષોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કેન્દ્રિય કેબિનેટનુ આવતીકાલે રવિવારે સવારે વિસ્તરણ કરવામાં આવનાર છે. કેબિનેટમાંથી કોને કોને પડતા મુકવામાં આવશે અને કોને કોને સામેલ કરવામાં આવશે તે અંગે આવતીકાલે સવારે જ માહિતી મળશે. કેટલાક નવા ચહેરાને પણ તક આપવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તમામને ચોંકાવી દેવા માટે તૈયાર છે. મોદી સરકાર આવતીકાલને સુપર સન્ડે બનાવી દેવા તૈયાર છે. કારણ કે નવી ટીમ સપાટી પર આવનાર છે. આ ટીમ બીજા હાફમાં જવાબદારી સંભાળનાર છે. આ નવી ટીમની વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકોમાં કામના મોરચે વધારે સારી છાપ ઉભી કરવાની જવાબદારી રહેશે. કેબિનેટમાં ફેરફારને લઇને મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ ખુબ સાવધાન છે. કારણ કે બન્ને વચ્ચે આ મામલે ત્રણ વખત બેઠક થઇ ચુકી છે. કેબિનેટમાં ફેરફાર રવિવારના દિવસે સવારે ૧૦ વાગે થશે. મોદી કેટલાક નવા ચહેરાઓને તક આપનાર છે. કેબિનેટમાં ફેરફાર અને ફેરરચનાના ભાગરુપે ઓછામાં ઓછા પાંચ કેન્દ્રીય મંત્રી ગુરુવારના દિવસે રાજીનામુ આપી દીધા હતા. જ્યારે અન્ય એક પ્રધાને મોડેથી રાજીનામુ આપ્યુ હતુ. પ્રધાનોના ખાતા બદલવાની સાથે સાથે કેટલાક જુના મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે. નવા ચહેરાઓને તક મળી શકે છે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીને રેલવે ખાતુ મળી શકે છે. જ્યારે સુરેશ પ્રભુને પર્યાવરણ ખાતુ આપવામાં આવી શકે છે. રાજીવ પ્રતાપ રુડીને સંગઠનમાં કોઇ મોટી જવાબદારી મળી શકે છે. પ્રધાનમંડળમાં ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય શાનદાર દેખાવ કરનાર પ્રધાનોને પ્રોત્સાહન આપવાનો અને નિરાશાજનક દેખાવ કરનાર પ્રધાનોની હકાલપટ્ટી કરવાનો પણ છે. ગુજરાતમાંથી પણ કેટલાક પ્રધાનોને મોટી જવાબદારી મળી શકે છે. બઢતી પણ મળી શકે છે. સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારને શહેરી વિકાસ મંત્રાલય સોંપવામાં આવે તેવી શક્યતા છે. પહેલા આ મંત્રાલય વેંકૈયા નાયડુની પાસે હતું. હાલમાં આની વધારાની જવાબદારી ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પાસે છે. વડાપ્રધાન મોદીએ જ ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત મે ૨૦૧૪માં સરકારની રચના બાદ પ્રધાનમંડળમાં ત્રીજા સૌથી મોટા ફેરફારના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. મોટા પાયે કેબિનેટમાં ફેરફાર માટેનો માર્ગ મોકળો કરવા માટે છ પ્રધાનો રાજીનામાં આપી ચુક્યા છે. કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરવામાં આવનાર છે. આવી જ રીતે કેટલાક જુના પ્રધાનોને બહાર કરવામાં આવનાર છે. આવી જ રીતે કેટલાક નવા ચહેરાને તક મળી શકે છે. માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીને રેલવે મંત્રાલયની જવાબદારી મળે તેવી શક્યતા છે.સ્કીલ ડેવલપમેન્ટ પ્રધાન રાજીવ પ્રતાપ રૂડી, આરોગ્ય પ્રધાન ફગનસિંહ કુલસ્તે, કૃષિ રાજ્યપ્રધાન સંજીવ બાલિયન રાજીનામા આપી ચુક્યા છે. જળ સંશાધન પ્રધાન ઉમા ભારતીએ આરોગ્યના કારણસર રાજીનામુ આપી દેવાની ઓફર કરી છે. જો કે તેમને કેબિનેટમાં હાલમાં જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પસંદગીના બે પ્રધાનોને કેન્દ્રિય કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
જેડીયુમાંથી રામચન્દ્ર પ્રસાદ અને પુર્ણિયાના સાંસદ સંતોષ કુશવાહને પ્રધાન બનાવવામાં આવી શકે છે. કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે હાલમાં ભાજપ પ્રમુખ અમિત શાહના આવાસ પર હાઇ પ્રોફાઇલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી અને ભાજપનાકેટલાક કેન્દ્રિય નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આઠ કેન્દ્રિય પ્રધાનો હાજર રહ્યા હતા. જેડીયુ એનડીએમાં સામેલ થઇ ગયા બાદ કેબિનેટ વિસ્તરણને લઇને ચર્ચા ગરમ છે. કેબિનેટમાં ફેરફાર માટેનુ એક કારણ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા રાજીનામાની ઓફર પણ છે. સતત એક પછી એક રેલવે અકસ્માતના કારણે રેલવેપ્રધાન હાલમાં ભારે દબાણ હેઠળ છે. પ્રભુએ થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને રાજીનામાની ઓફર કરી હતી. જો કે થોડાક સમય સુધી રાહ જોવા માટે મોદીએ તેમને કહ્યુ હતુ. ભાજપના નેતા અનિલ માધવ દવેના અવસાનના કારણે આ વર્ષે મે મહિનામાં વિજ્ઞાન પ્રધાન હર્ષવર્ધનને પર્યાવરણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે નાયડુએ હોદ્દો છોડી દીધા બાદ સ્મૃતિ ઇરાનીને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આગામી ચૂંટણીને લઇને બે વર્ષથી ઓછો સમય રહ્યો છે ત્યારે મોદીનુ ધ્યાન હવે માત્ર સારા કામ પર કેન્દ્રિત છે.
વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલા તેને અંતિમ ફેરફાર તરીકે પણ ગણવામાં આવે છે. મહત્વપૂર્ણ મંત્રાલયોને ફુલટાઇમ મંત્રી આપવાનો હેતુ છે.
લોકસભા ચૂંટણી આડે બે વર્ષનો સમય રહ્યો છે ત્યારે મોદી પરફોર્મન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. જે રાજ્યોમાં હવે ચૂંટણી યોજાનાર છે તે રાજ્યોમાંથી કોને તક કેન્દ્રિય કેબિનેટમાં મળે છે તે બાબત પર ભાજપ છાવણીમાં ભારે ચર્ચા છે. જો કે સસ્પેન્સ હજુ અકબંધ છે. વિગત વધારે જાહેર કરવામાં આવી નથી. કેબિનેટમાં ૧૪-૧૫ નવા પ્રધાનોને સામેલ કરવામા ંઆવી શકે છે. જ્યારે સાત અથવા તો આઠને પડતા મુકાશે.
પાછલી પોસ્ટ